લંડનઃ સરકારે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ભાડૂતોને ભાડાંના ઘરમાંથી બહાર કાઢવા પરના ૨૩ ઓગસ્ટ સુધીના પ્રતિબંધને વધુ ચાર સપ્તાહ માટે લંબાવ્યો છે. સરકારના નિર્ણયમાં બીજી પીછેહઠ તરીકે હાઉસિંગ સેક્રેટરી રોબર્ટ જેનરિકે જાહેરાત કરી હતી કે કોરોના વાઈરસ મહામારીમાં આવક ગુમાવનારા કોઈ પણ ભાડૂતને તેમના ઘરમાંથી બહાર નહિ કઢાય તેવી માર્ચ મહિનામાં અપાયેલી ખાતરી સાથેનો પ્રતિબંધ હજુ ચાર સપ્તાહ લંબાવાયો છે.
કોર્ટ્સમાં ભારે બેકલોગ અને અંદાજે ૨૩૦,૦૦૦ ભાડૂતો ઘરવિહોણાં થઈ જવાનું જોખમ ધ્યાને લેતા સરકારે આ પ્રતિબંધ ૨૦ સપ્ટેમ્બર સુધી લંબાવવા નિર્ણય લીધો હતો. જોકે, સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં આ પ્રતિબંધ આગામી માર્ચ સુધી અમલમાં રહેવાનો છે.
હાઉસિંગ સેક્રેટરી જેનરિકે એમ પણ જણાવ્યું હતું કે ભાડૂતો ઘરની બહાર કાઢવા માટેનો નોટિસ પીરિયડ કામચલાઉ રીતે ત્રણ મહિનાથી વધારી છ મહિના કરવામાં આવ્યો છે. જોકે, નર્કાગાર જેવી પરિસ્થિતિ ઉભી કરનારા પડોશીઓ અપવાદ ગણાશે. મહામારી અગાઉ, કોર્ટમાં આશરે ૬૨,૦૦૦ એવિક્શન કેસની સુનાવણી થવાની બાકી હતી. અસામાજિક વર્તન કે ઘરેલુ શોષણ કરનારાઓને સંડોવતા કેસીસની કોર્ટમાં સુનાવણી ફરીથી શરુ કરાશે. આમ, કોર્ટ ફરી ખુલે ત્યારે મકાનમાલિકો તેમના કેસીસમાં પ્રાથમિકતાના ધોરણે પ્રગતિ જોઈ શકશે.
હાઉસિંગ ચેરિટી ‘શેલ્ટર’ માટે YouGov દ્વારા કરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે મહામારી દરમિયાન ભાડું ચૂકવી નહિ શકાતા લગભગ ૨.૫ લાખ ભાડૂતો ઘરવિહોણા બનવાનું જોખમ છે. સરકારના નિર્ણયથી મકાનમાલિકોમાં રોષ વ્યાપી ગયો છે. મોટા ભાગના મકાનમાલિકો પણ તેમના બિલ્સ ચૂકવવા પેન્શન ઉપરાંત, માત્ર ભાડાંની આવક પર આધાર રાખે છે. જે ભાડૂત આઠ સપ્તાહ કરતાં વધુ સમયથી ભાડું ચૂકવતો ન હોય તેને કોર્ટમાં લઈ જઈ શકાય છે. મકાનમાલિકો ભાડૂતોને દૂર કરવા ‘નો બ્લેમ’ એવિક્શનનો સહારો પણ લઈ શકે છે. સરકારે ગયા વર્ષે આવી હકાલપટ્ટી પર પ્રતિબંધનો ઈરાદો જાહેર કર્યો હતો પરંતુ, કાયદો હજુ બદલાયો નથી.