ગેમિંગની વાત આવે ત્યારે ભારત મોટી રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષા ધરાવતો દેશ છે અને તેમાં તારા ગેમિંગ બહુ મોટું નામ છે, જે ‘એજ ઓફ ભારત -The Age of Bhaarat’ ટ્રિપલ-એ ગેમના વિકાસ સાથે ‘બ્લેક મિથઃ વુકોંગ ઓફ ઈન્ડિયાનું સર્જન કરવાનું લક્ષ્ય ધરાવે છે. મોબાઈલ ગેમ્સમાં વધુ રસ ધરાવતા ભારત માટે આ નવી બાબત છે કારણકે તારા ગેમિંગ PC અને કોન્સોલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહેલ છે. આ માટે તારા ગેમિંગે 160થી વધુના સ્ટાફને કામે લગાવ્યો છે. તારા ગેમિંગના એક્ઝિક્યુટિવ ચેરમેન નિકોલસ ગ્રેનાટિનોએ જણાવ્યું હતું કે એજ ઓફ ભારતનો આલ્ફા ટેસ્ટ ઉનાળાના અંતે રીલિઝ કરાશે
નોંધપાત્ર બાબત એ છે કે તારા ગેમિંગના સ્થાપકોમાં પાંચ દાયકામાં 200થી વધુ ફિલ્મોના મહાનાયક અમિતાભ બચ્ચન, આઠ મિલિયનથી વધુ પુસ્તકોનું વેચાણ ધરાવનારા ભારતીય નવલકથાકાર અમિશ ત્રિપાઠી અને ઘોસ્ટ રેકોન ફ્રેન્ચાઈઝનું વડપણ કરતા પૂર્વ યુબિસોફ્ટ ગેમ એક્ઝિક્યુટિવ નોર્દાઈન એબાઉડનો સમાવેશ થાય છે. ટ્રિપલ -એ ગેમનું નિર્માણ કરવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા આ સહસ્થાપકોએ મે મહિનામાં ‘ધ એજ ઓફ ભારત’નું પ્રથમ ટ્રેલર જારી કર્યું હતું. ચીનની પ્રાચીન રહસ્યમય દંતકથાઓના પરિવેશમાં રહેલા ‘બ્લેક મિથઃ વુકોંગની માફક જ ધ એજ ઓફ ભારત પ્રાચીન ભારતના મહાકાવ્યોની કલ્પના પર રચાયું છે. ચીનની સંસ્કૃતિ પર આધારિત અને 30 મિલિયનથી વધુ નકલોના વેચાણથી ચીને સાધેલી અભૂતપૂર્વ સફળતા પર નજર રાખી બેઠેલા ભારતની મહત્ત્વાકાંક્ષા પણ મોટી છે.
ગેમિંગ મારફત ભારતની સંસ્કૃતિને વિશ્વના તખતા પર આગળ વધારવા સાથે ભારતને ગ્લોબલ ગેમિંગ કેન્દ્ર બનાવવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યોજનામાં આ ગેમ બંધબેસતી છે. માર્કેટ રિસર્ચર નિકો પાર્ટનર્સના અંદાજ મુજબ ભારત 2025માં લગભગ 1.5 મિલિયનની વસ્તીમાંથી 500 મિલિયન રમતશોખીનોની સંખ્યાને વટાવી ગયું છે. ભાીરતીય ખેલાડીઓ દ્વારા 2025માં 1 બિલિયન ડોલરના ખર્ચની રકમ વટાવી ગયાનો અંદાજ છે. મિક્સી ઈન્વેસ્ટમેન્ટ ગ્લોબલના રિપોર્ટ અનુસાર ભારતનું ગેમિંગ માર્કેટ 2029 સુધીમાં 2.4 બિલિયન ડોલરની રેવન્યુએ પહોંચી જશે. જોકે, ભારતમાં 95 ટકા ગેમર્સ મોબાઈલ ઉપકરણો પર રમે છે અને ધ એજ ઓફ ભારતને સફળ થવા માટે ભારતના પીસી અને કોન્સોલ ગેમર્સ પર કબજો જમાવવાની તેમજ વિશ્વતખતા પર ડંકો વગાડવાની જરૂર રહેશે. ગેમ વેન્ચર કેપિટલ ફર્મ બિટક્રાફ્ટનો અંદાજ છે કે ભારતમાં 2030 સુધીમાં ગેમિંગ અને ઈન્ટરએક્ટિવ મીડિયા માર્કેટ ત્રણ ગણું થઈ 7.5 બિલિયન ડોલરે પહોંચશે.
રામાયણ મહાકાવ્યના વિશ્વ પર આધારિતઃ અમિશ ત્રિપાઠી
સહસ્થાપક અમિશ ત્રિપાઠીએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,‘ આ ગેમ રામાયણ મહાકાવ્યના વિશ્વ પર આધારિત છે. તમારે દેવતા થઈને રમવાનું નથી. તમે તેમના વિશ્વમાં જ હશો. રામાયણ યુગના નાયક રામને દર્શાવતું સંસ્કૃત ભાષાનું કથાનક છે. રામાયણની પરંપરાગત કથા મેક્રો લેવલની છે. દેવતાઓ યુદ્ધ કરે છે. આ ગેમની કથામાં તમે વનરક્ષક છો અને મહારાક્ષસોના લશ્કરના હિસ્સારૂપ રાક્ષસોની સામે લડો છો. માઈક્રો નેરેટિવ ભારે લાગણીસભર છે અને બિનભારતીયોને પણ અપીલ કરશે. જોકે, વિશ્વ રામાયણ પર આધારિત હોવાથી તે સંપૂર્ણપણે ભારતીય પણ છે. આથી, અમે ભારત અને પશ્ચિમ વચ્ચે સમતુલા સાધી છે. પ્રત્યેક ભારતીય રામાયણની છાયાને ઓળખે છે.’ અમિશ ત્રિપાઠી ભારતના પ્રકાશન ઈતિહાસમાં સૌથી ઝડપે વેચાતા નવલકથાકાર છે અને આ ગેમની ઓરિજિનલ સ્ટોરી પણ તેમણે જ લખી છે. તેમણે 2010થી અત્યાર સુધી 11 પુસ્તક લખ્યાછે જેની આઠ મિલિયનથી વધુ નકલો વેચાઈ છે. તેમણે રાજદ્વારી ભૂમિકામાં યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનમાં મિનિસ્ટર (કલ્ચર એન્ડ એજ્યુકેશન) તરીકે તેમજ લંડનમાં નેહરુ સેન્ટરના ડાયરેક્ટર તરીકે સેવા આપી છે.
ભારત હંમેશાંથી શક્તિશાળી કથાનકોની ભૂમિઃ અમિતાભ બચ્ચન
પાંચ દાયકા કરતાં વધુ સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનયના અજવાળા પાથરનારા મહાનાયક અમિતાભ બચ્ચન પણ તારા ગેમિંગ સાથે સહસ્થાપક તરીકે જોડાયેલા છે. બચ્ચન ઉત્સાહપૂર્વક કહે છે કે,‘તારી ગેમિંગ સાથે મારું જોડાણ કથાકારીની મારી જીવનપર્યંતની પ્રતિબદ્ધતાનું વિસ્તરણ છે. મેં જ્યારે અમિશ અને નોર્દાઈનના વિઝન વિશે સાંભળ્યું ત્યારે હું વાસ્તવમાં સીમાચિહ્નના સર્જનની સંભાવના તરફ આકર્ષાયો હતો. ભારત હંમેશાંથી શક્તિશાળી કથાનકોની ભૂમિ રહ્યું છે અને આ ગેમ મારફત આપણે વિશ્વને આપણા મહાકાવ્યો, સર્જનાત્મકતા અને કલ્પનાને સહિયારી બનાવવાની તક મેળવીએ છીએ. ગેમિંગ એ છે જ્યાં કથાઓ આગામી પેઢીઓ માટે જીવંત બની રહે છે.’


