નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. કેન્યા તથા યુ.કે.માં પૂ.યોગીજી મહારાજ, પૂ. પ્રમુખસ્વામી મહારાજ અને પૂ.મહંતસ્વામીના સાનિધ્યમાં સતત સત્સંગ અને સેવામાં જીવન વિતાવનાર મનહરભાઇની ઇચ્છા પ્રગટ કરી હતી કે તેઓ શાંતિપૂર્વક અક્ષરધામ સિધાવે. તેઓ ૧૦મી માર્ચે વહેલી સવારે ગાઢનિંદ્રામાં પોઢી ગયા એના બે દિવસ અગાઉ મનહરભાઇની ઇચ્છાપૂર્તિ સાથે પૂ.મહંતસ્વામીનો આશીર્વાદ આપતો પત્ર મળ્યો હતો. નીસડન સ્વામિનારાયણ મંદિરમાં અનેક વખત યોજાતી સભાઓ, ઉત્સવો, તહેવારોમાં હાજરી આપવા જતા ગુજરાત સમાચારના તંત્રીશ્રી સી.બી. પટેલે મનહરભાઇને વર્ષોથી ખૂબ નિષ્ઠાપૂર્વક સેવા આપતા દીઠા છે. આવા પરમ સત્સંગીને ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં સ્થાન આપે એવી ગુજરાત સમાચાર પરિવારની પ્રાર્થના.


