મહાત્મા ગાંધી બ્રિટિશ સિક્કાઓ પર જોવા મળી શકે

Wednesday 05th August 2020 06:21 EDT
 
 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) લોકોને બ્રિટિશ સિક્કાઓ પર સ્થાન આપવાના અભિયાનને સમર્થન આપ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર અશ્વેત મહાનુભાવોના પ્રદાન અને તેમની સફળતાના મુદ્દે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર પણ બ્રિટિશ સિક્કાઓ પર જોવા મળી શકે છે. બ્રિટિશ સેનાના પ્રથમ અશ્વેત ઓફિસર વોલ્ટર ટૂલની યાદગીરીમાં ૨૦૧૪માં બ્રિટિશ સિક્કા પર સ્થાન અપાયું હતું.

ચાન્સેલર સુનાકે એક નિવેદનમાં સ્પષ્ટ કહ્યું છે કે ‘ધ રોયલ મિન્ટ એડવાઈઝરી કમિટી ગાંધીની યાદમાં એક સિક્કો જારી કરવા વિચારી રહી છે.’ તેમણે ઉમેર્યું હતું કે,‘મેં શનિવારે રોયલ મિન્ટને પત્ર લખી અશ્વેત અને વંશીય લઘુમતી લોકોની સફળતાને બ્રિટિશ સિક્કાઓ પર દર્શાવવાનો વિચાર કરવામાં આવે. આપણા સિક્કા પાછલી પેઢીના એવા લોકોને પણ દર્શાવે જેમણે આ દેશ અને રાષ્ટ્રમંડળ (કોમનવેલ્થ) દેશોની સેવા કરી હોય.’ બ્રિટનમાં સિક્કાની ડિઝાઈન અને વિષય પર સલાહ આપનારી સ્વતંત્ર ધ રોયલ મિન્ટ એડવાઈઝરી કમિટીમાં નિષ્ણાત સભ્યો સામેલ હોય છે. ચાન્સેલરે ધ રોયલ મિન્ટના વડા લોર્ડ વાલ્ડગ્રેવને પત્રમાં જણાવ્યું હતું કે,‘ અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી લોકોએ બ્રિટનની સહભાગી સંસ્કૃતિના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપેલું છે. વંશીય લઘુમતીઓએ પેઢીઓ સુધી આ દેશ માટે યુદ્ધો ખેલ્યા છે અને જાનની કુરબાની પણ આપી છે.

જોકે, બ્રિટિશ સિક્કાઓ પર મહાત્મા ગાંધીને સ્થાન આપવાનો વિચાર પહેલી વખત રજૂ થયો નથી. પૂર્વ ચાન્સેલર સાજિદ જાવિદે પણ રોયલ મિન્ટને મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે સિક્કો જારી કરવા જણાવ્યું હતું. મહાત્મા ગાંધી ઉપરાંત, ભારતીય મૂળની બ્રિટિશ જાસૂસ નૂર ઈનાયન ખાન અને જમૈકા મૂળની બ્રિટિશ નર્સ મેરી સિકોલના સિક્કા જારી કરવાની વાતનો સમાવેશ થતો હતો. ‘વી ટુ બિલ્ટ બ્રિટન’ અભિયાનની અગ્રણી ભારતીય મૂળની અને કન્ઝર્વેટિવ પાર્ટી સાથે જોડાયેલી ઝેહરા ઝૈદીએ ચાન્સેલર સુનાકને પત્ર લખી આ માગણી કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter