બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના વડા પૂ. મહંત સ્વામી હાલ મુંબઈ ખાતે વિચરણ કરી રહ્યા છે. તા.૨૪ ડિસેમ્બરને સોમવારે શિશુદિનની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં ભાગ લેનારા શિશુઓએ અલગ અલગ લઘુસંવાદ દ્વારા સુટેવ અને કુટેવના લક્ષણો દર્શાવ્યા હતા. ૨૭મીને ગુરુવારે સત્સંગ પરીક્ષા દિન ઉજવાયો હતો. તેમાં અલગ અલગ સોપાન માટે પ્રતિકુળ સંજોગોમાં પણ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપનારા સત્સંગીઓના પ્રેરક પ્રસંગો રજૂ કરાયા હતા. પૂ. મહંત સ્વામીએ આશીર્વચનમાં જણાવ્યું હતું કે સત્સંગ શિક્ષણ પરીક્ષાનું ફળ અક્ષરધામ છે. ૨૮મીએ બાળદિનની ઉજવણી કરાઈ હતી. તેમાં બાળકોએ પૂ. મહંત સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં શ્રીજી મહારાજથી માંડીને ગુરુ પરંપરાના જીવનમાંથી ચૂંટેલા પ્રસંગો રજૂ કર્યા હતા. ૨૯મીએ યુવા ઉત્કર્ષ દિન ઉજવાયો હતો. તેમાં સત્સંગી, ગુણભાવિ ૪,૭૦૦ જેટલાં યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. જ્ઞાનવત્સલ સ્વામીએ તેમના પ્રેરક પ્રવચન દ્વારા યુવાપેઢીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પૂ. મહંત સ્વામીએ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે આપણા સ્વભાવને લીધે જ લોકો આપણને સારા અથવા ખરાબ કહે છે. તેથી સ્વભાવ સુધારવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે સારા હોવું એ સૌથી મોટો ગુણ છે. ૩૦મીએ મુંબઈમાં રહેતા રાજસ્થાની સત્સંગી અને હરિભક્તો માટે વિશેષ કાર્યક્રમ ‘પધારો મારે દેશ’ યોજાયો હતો. તેમાં સ્વાગત નૃત્ય અને સંવાદ બાદ સૌને નિયમિત સત્સંગની પ્રેરણા પૂરી પડાઈ હતી. ૩૧મીએ યુવા દિનની ઉજવણી કરવામાં આવી હતી.


