મેયર સાદિક એકલતાનો શિકારઃ નેતાગીરી ન કરવાનો અફસોસ

Thursday 25th June 2020 02:00 EDT
 
લંડનના મેયર સાદિક ખાન
 

લંડનઃ કોરોના મહામારીના કારણે ‘એકલતા’નો શિકાર બનવા સાથે લંડનના મેયર તરીકે પૂરતી નેતાગીરી આપી શકતા ન હોવાની કબૂલાત સાદિક ખાને કરી છે. કોલિડ-૧૯ના લોકડાઉનની અસર પોતાના માનસિક આરોગ્ય પર થઈ હોવાનું પણ મેયર ખાને ધ ટાઈમ્સ સાથે અખબારી મુલાકાતમાં સ્વીકાર્યું હતું. ઉલ્લેખનીય છે કે વાર્ષિક ૧૫૨,૦૦૦ પાઉન્ડનું વેતન મેળવતા મેયર ખાને તેમના વેતનમાં ૧૦ ટકાનો કાપ સ્વીકારવાની જાહેરાત કરી છે.

લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે તેઓ તણાવપૂર્ણ જીવન જીવના ટેવાયેલા છે પરંતુ, એકલતાના સંદર્ભમાં છેલ્લા ૧૦થી ૧૧ સપ્તાહ તેમના પ્રોફેશનલ જીવન માટે સૌથી વધુ મુશ્કેલ પુરવાર થયા હતા. તેમણે કહ્યું કે ,‘આઠ સપ્તાહ સુધી તો હું મારા ઘર અને ટૂટિંગ કોમનની બહાર જ નીકળ્યો ન હતો. હું સોબતમાં જીવનારો અને બહાર ફરનારો છું. અને હું સંઘર્ષ કરી રહ્યો હતો.’

એકલતાએ તેમના માનસિક આરોગ્ય પર અસર કરી હતી તે પ્રશ્નના ઉત્તરમાં ખાને જણાવ્યું હતું, કે ‘મને તેની જરા પણ શંકા નથી. એક રીતે જોઈએ તો હું હતાશ થયેલો હતો. એવા પણ દિવસો હતા જ્યારે હું યોગ્ય નેતૃત્વ પુરું પાડી શક્યો નહિ. હું ચોક્કસપણે નબળાઈ અનુભવતો હતો.’ તેમણે ઉમેર્યું હતું કે,‘નેતા થવું તે પણ એકલતા જ છે. મને સમજાયું કે તેના વિશે વાત કરવામાં આત્મશ્રદ્ધા હોવી જોઈએ. મારે નિખાલસ બનવું જોઈએ કારણકે હું સંઘર્ષ કરતો હતો.’

તેઓ રડ્યા હતા તે પ્રશ્નના જવાબમાં ખાને સ્વીકાર્યું કે,‘હું આમ પણ રોતલ છું, જે ફિલ્મમાં પણ રોઈ પડે છે.’ તેમણે એમ પણ કહ્યું કે ઘણી વખત તેઓ ઉદાસ રહ્યા હતા અને રોતાં પણ હતા. ઘણી વખત તેઓ નાસીપાસ થયા અને રોષે પણ ભરાયા હતા. વડા પ્રધાને તેમને મેયર તરીકે કોબ્રા મીટિંગ્સમાં ન બોલાવ્યા તેનો પણ ગુસ્સો આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter