મોતનો અધિકારઃ આજીવન સ્ટોમા બેગ નહિ રાખવાનો દર્દીનો ઈનકાર માન્ય

Saturday 20th June 2020 02:32 EDT
 
 

લંડનઃ કાયમી સ્ટોમા બેગ (લટકતી કોથળી) સાથે જીવવા નહિ માગતા ૩૪ વર્ષના અનામી પેશન્ટ ‘MSP’ના જીવનરક્ષક સારવારમાં ઓપરેશનનો ઈનકાર કરવાના અધિકારને કોર્ટ ઓફ પ્રોટેક્શનના જસ્ટિસ હેડને માન્ય રાખ્યો હતો. આંતરડાની ગંભીર તકલીફ ધરાવતા આ દર્દીનું મોત થયું છે. જસ્ટિસ હેડને આ મહિનાના આરંભે જણાવ્યું હતું કે તબીબો દર્દીને જીવતો રાખવાના પ્રયાસ કાયદેસર બંધ કરી શકે છે. આ દર્દીના પેરન્ટ્સે પણ જણાવ્યું હતું કે તેઓ તેમના પુત્રની ઈચ્છાનો આદર કરે છે.હોસ્પિટલ ટ્રસ્ટના વકીલોએ જણાવ્યું હતું કે લાઈફ સપોર્ટ સિસ્ટમ ખસેડી લેવાઈ છે અને દર્દીનું મૃત્યુ થયું છે.

બાર્ન્સલે હોસ્પિટલ ફાઉન્ડેશન ટ્રસ્ટના ઈન્ટેન્સિવ કેર યુનિટમાં ગંભીર બીમારીની સારવાર લઈ રહેલા ૩૪ વર્ષીય પેશન્ટે સ્ટોમા બેગ સાથે આજીવન જીવવાનું પસંદ નહિ હોવાનું જણાવ્યું હતું તેનું આખરે મોત થયું છે. તેના ૨૭ મેના ઓપરેશન પછી નિષ્ણાતોએ જણાવ્યું હતું કે દર્દીના જીવવાના ૬૦થી ૭૦ ટકા ચાન્સ છે પરંતુ, તેના માટે પેટથી લટકતી સ્ટોમા બેગ રાખવી આવશ્યક છે જેમાં દર્દીના યુરિન અને મળને બહાર એકત્ર કરી શકાય. કોર્ટ ઓફ પ્રોટેક્શનના જસ્ટિસ હેડને આ મહિનાના આરંભે ચુકાદો આપ્યો હતો કે દર્દીએ તેને કાયમી સ્ટોમા સાથે જીવવાનું પસંદ નહિ હોવાનું લેખિત જણાવ્યું છે તે પુરાવાના આધારે તેને જીવનરક્ષક સારવારનો ઈનકાર કરવાનો અધિકાર છે. જસ્ટિસે જણાવ્યું હતું કે તબીબો કાયદેસર કૃત્રિમ રીતે પોષણ અને પાણી કે પ્રવાહી આપવાનું બંધ કરી છે અને તેને પીડાશામક સારવાર કેન્દ્રમાં ખસેડી શકાય છે. જજે પેશન્ટના મૃત્યુ પછી ત્રણ મહિના સુધી તેની ઓળખ જાહેર નહિ કરી શકાય તેમ પણ જણાવ્યું હતું.

બાર્ન્સલે હોસ્પિટલ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટમાં સારવાર લઈ રહેલા પેશન્ટના શ્રેષ્ઠ હિતમાં શું છે તેનો નિર્ણય કરવા કોર્ટ ઓફ પ્રોટેક્શનને વિનંતી કરી હતી. આ કોર્ટમાં પોતાના માટે નિર્ણય કરવાની માનસિક અક્ષમતા ધરાવતા લોકો માટે નિર્ણય લેવાય છે. જસ્ટિસ હેડનને જણાવાયું હતું કે થોડા સમય અગાઉ ફેબ્રુઆરીમાં પોતાનો નિર્ણય લેવાની ક્ષમતા પાછી મેળવી શકેલા આ પેશન્ટે તે આજીવન સ્ટોમા બેગ સાથે જીવવા માગતો નહિ હોવાનું લેખિતમાં જણાવ્યું હતું.

પેશન્ટના માતાપિતાએ પણ પુત્રની ઈચ્છાનું સન્માન કરાય તેમ જણાવ્યું હતું. પેરન્ટ્સે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે પેટની સર્જરી પછી તેમના પુત્રને કામચલાઉ સ્ટોમા બેગ લગાવાઈ હતી. જોકે, તેનાથી તે ત્રાસી ગયો હતો. તેને પોતાના ભાવિ જીવન, લગ્ન, નોકરી સંબંધિત ચિંતા હતી. જસ્ટિસ હેડને જણાવ્યું હતું કે ઘણા લોકો કાયમી સ્ટોમા બેગ સાથે સંપૂર્ણ જીવન જીવે છે પરંતુ, આ વ્યક્તિએ સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે જે સંજોગોમાં તે જીવવા ઈચ્છે છે તે આ નથી. વાસ્તવમાં આ કેસ મડત્યુની પસંદગીનો નહિ પરંતુ, પોતાના જીવનના અંત પર અંકુશ રાખવાની પુખ્ત વ્યક્તિની ક્ષમતા સંબંધે છે.

બીજી તરફ, ચુકાદાના મિશ્ર પ્રત્યાઘાતો આવ્યા છે. કાયમી સ્ટોમા બેગ ધરાવતી એક વ્યક્તિએ પેશન્ટના આવાં ઈનકારને અયોગ્ય ગણાવ્યો હતો. ઘણા લોકોએ આપણા શરીર પર આત્મનિર્ણયનો અધિકાર હોવાનું જણાવ્યું હતુ. કેમ્પેઈન ગ્રુપ ક્રિશ્ચિયન કન્સર્ન દ્વારા જજના ચુકાદાને ખામીપૂર્ણ ગણાવાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter