યુએસએની હાર્વર્ડ યુનિવર્સિટીના મેમોરિયલ હોલમાં આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારીબાપુ 9 દિવસની રામકથાનું રસપાન કરાવી રહ્યા છે. મોરારીબાપુની આ 982મી રામકથા છે જેનો આરંભ15 ઓગસ્ટથી થયો છે અને પૂર્ણાહુતિ 23 ઓગસ્ટ 2026ના રોજ કરાશે. ભરચક ઓડિયન્સ સાથેની આ રામકથાનો લાભ વિશ્વભરમાંથી લગભગ 1000 ભાવિકો લઈ રહ્યા છે.
પોપટ પરિવાર દ્વારા ઓગસ્ટ 2024માં કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે ‘માનસ વિશ્વવિદ્યાલય’ રામકથાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં બ્રિટનના પ્રથમ હિન્દુ પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાક ઉપસ્થિત રહ્યા હતા. કેમ્બ્રિજ ખાતે સંબોધન કરતા સુનાકે જણાવ્યું હતું કે તેઓ ‘પ્રાઈમ મિનિસ્ટર તરીકે નહિ, પરંતુ હિન્દુ તરીકે બોલી રહ્યા છે.’ તેમણે ઉમેર્યું હતું કે સત્ય, પ્રેમ અને અનુકંપાના ઉપદેશ અગાઉ ક્યારેય ન હતા તેવા હાલ વધુ સુસંગત છે.
હાર્વર્ડ યુનિવર્સિટીનો મેમોરિયલ હોલ વિશ્વના સૌથી પ્રભાવશાળી સ્થળોમાં એક છે જ્યાં સંખ્યાબંધ અગ્રણી રાજકારણીઓએ યજમાનપદ સ્વીકાર્યું છે. હાર્વર્ડનો મુદ્રાલેખ વેરિટાસ- Veritas એટલે કે સત્ય છે, જે યુનિવર્સિટીએ સદીઓથી શિક્ષણ અને સ્કોલરશિપ્સ મારફત આત્મસાત કર્યો છે. મોરારીબાપુએ 60 કરતા વધુ વર્ષથી આ જ સત્યનો માર્ગ અપનાવ્યો છે. તેઓ શૈક્ષણિક સ્કોલરશિપ્સ મારફત નહિ, પરંતુ રામાયણના શાશ્વત ઉપદેશ થકી સત્યની યાત્રા કરી રહ્યા છે.
રામકથાનું વિશિષ્ટ શૈક્ષણિક પરિમાણ પણ છે, ‘ધ લિવિંગ રામાયણ’ નામના પ્રોગ્રામમાં યુનાઈટેડ સ્ટેટ્સ, યુરોપ, ભારત અને જાપાનથી આવેલા બહુશ્રુત વિદ્વાનો રામાયણના ઈતિહાસ, સૌંદર્યશાસ્ત્ર અને સાંસ્કૃતિક વ્યાપકતાને તપાસવાના છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલી, ઓસાકા યુનિવર્સિટી, વેલેસ્લી કોલેજ, ઓબેર્લિન કોલેજ, યુનિવર્સિટી ઓફ આઈઓવા અને લેઈડેન યુનિવર્સિટીના વિદ્વાનોની સાથે હાર્વર્ડ ફેકલ્ટીમાં કમ્પેરેટિવ રીલિજિયન એન્ડ ઈન્ડિયન સ્ટડીઝના પ્રોફેસર ડાયેના એકનો સમાવેશ થયો હતો.
રામકથા પારાયણમાં 19 ઓગસ્ટે તુલસી જયંતી આવે છે. બાપુની રામકથા જેના પર આધારિત છે તે મહાગ્રંથ રામચરિતમાનસના રચયિતા સંતકવિ તુલસીદાસના સન્માનમાં આ જયંતી છે. આ સપ્તાહ દરમિયાન ભારત અને વિશ્વભરમાંથી 50 કરતાં વધુ કથાકાર અને પાઠ કરનારા પાઠકો બાપુની સાથે જોડાયા હતા, જે તેમની કથાઓમાં અન્ય કથાકારોને સામેલ કરવામાં અને તેમના જ્ઞાનને અંજલિ આપવામાં બાપુનો આગ્રહ દર્શાવે છે. આવો ઈવેન્ટ માત્ર એક ઉપદેશ ન રહેતા કથાકારોના સામૂહિક જ્ઞાનનો લાભ આપનારો ઈવેન્ટ બની રહે છે.
રામકથા ઈવેન્ટનો આરંભ કરાવતા હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય લોર્ડ ડોલર પોપટે જણાવ્યું હતું કે,‘ મારા ગુરુ, મોરારીબાપુની ઉપસ્થિતિમાં અનોખી સંસ્થા, મેમોરિયલ હોલ, હાર્વર્ડ યુનિવર્સિટીમાં હાજર રહેવાનું મારા માટે અસામાન્ય સૌભાગ્ય છે. બાપુની કથાઓમાં વિશ્વના દરેક ખંડમાંથી સર્વ ધર્મ અને સર્વ પશ્ચાદભૂ સાથેનો લોકોને આવકાર મળે છે.’ તેમણે ઉમેર્યું હતું કે, ‘સત્ય, પ્રેમ અને અનુકંપાના તમારા ઉપદેશ સાર્વત્રિક મૂલ્યો છે, જેના થકી મારું જીવન, મારા પરિવારના લોકોનું જીવન અને અન્ય લોકોનું જીવન પણ ઘડાયું છે.’
બાપુની કથા જ્યાં પણ યોજાય, તેમની ભાવનાને સુસંગત સમગ્ર રામકથા દરમિયાન દરેકને પ્રસાદનું વિતરણ કરાયું હતું. આ સીમાચિહ્ન સમાન પ્રસંગ એક સ્મરણ સ્વરુપે અંકિત રહે છે કે સત્ય, પ્રેમ અને અનુકંપા જીવનશૈલી છે.


