લંડનઃ ભારતીય હાઈ કમિશનર વાય.કે. સિંહાએ ૬ જુલાઈએ ઈન્ડિયા હાઉસ ખાતે યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચર સમર પ્રોગ્રામનું લોન્ચિંગ કર્યું હતું. જુલાઈ મહિનામાં આરંભ કરાયેલો આ કાર્યક્રમ આ વર્ષના અંત સુધી ચાલશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા ૨૦થી વધુ સંસ્થાઓ કાર્યરત છે અને યર ઓફ કલ્ચરની ઉજવણી માટે ૫૦૦થી વધુ કળાકારોએ યુકે અને ભારતમાં ૨૦૦થી વધુ ઈવેન્ટ્સનું આયોજન કર્યું છે. આ ઈવેન્ટ્સમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, અનેક શહેરોમાં યોગદિનની ઉજવણી, બ્રિટિશ કાઉન્સિલમાં જયપુર સાહિત્ય ઉત્સવ, અને લંડનના ડોકયાર્ડમાં INS તરકશની વિઝિટ, જેમાં બે દિવસમાં ૧,૦૦૦થી વધુ લોકોએ લડાયક જહાજની મુલાકાત લીધી હતી.
હાઈ કમિશનર સિંહાએ જણાવ્યું હતું કે બે રાષ્ટ્રોના સાંસ્કૃતિક પ્રવાહોના વિનિમય સમાન આ ઉજવણી ફેબ્રુઆરી ૨૦૧૮ સુધી ચાલશે તેવી આશા તેઓ રાખે છે. બ્રિટિશ કાઉન્સિલ, ભારતીય વિદ્યાભવન, રોયલ ફેસ્ટિવલ હોલ, બાર્બિકન સેન્ટર, રોયલ સિમ્ફની અને લંડન મેયર્સ ઓફિસ સહિતની સંસ્થાઓ યર ઓફ કલ્ચરની ઉજવણીના પાર્ટનર્સ છે. આ લોન્ચિંગમાં બેરોનેસ ઉષા પ્રાશર, લોર્ડ કરણ બિલિમોરિયા, લોર્ડ મેઘનાદ દેસાઈ, ડિરેક્ટર સંગીતા દત્તા સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યાં હતાં. બ્રેડફર્ડ જઈ રહેલા ચિશ્તી ફાઉન્ડેશનના ચેરમેન અને અજમેર શરીફના સૈયદ સલમાન ચિશ્તીએ પણ કાર્યક્રમની મુલાકાત લઈ હાઈ કમિશનર સિંહાને દરગાહનું ચિત્ર ભેટ આપ્યુ હતું.