યુકેમાં એક જ વર્ષમાં ૧૦,૦૦૦થી વધુ એશિયનો લાપતા

પ્રિયંકા મહેતા Wednesday 21st August 2019 04:42 EDT
 
 

લંડનઃ નેશનલ ક્રાઈમ એજન્સી (NCA) દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરાયેલા રિપોર્ટમાં એવો ઘટસ્ફોટ કરાયો છે કે યુકેમાં ૨૦૧૬-૧૭ના માત્ર એક જ વર્ષમાં ૧૦,૦૦૦થી વધુ એશિયનો લાપતા થયા છે. ઈંગ્લેન્ડ અને વેલ્સના પોલીસ દળો દ્વારા અપાયેલા આંકડાઓના આધારે આ રિપોર્ટ તૈયાર કરાયો છે, જેમાં સ્પષ્ટ કરાયું છે કે યુકેમાં લાપતા લોકોની કુલ સંખ્યામાં એશિયનોની સંખ્યા ચાર ટકા છે.

આ રિપોર્ટ ઈંગ્લેન્ડ અને વેલ્સના પ્રાપ્ત ડેટા સુધી મર્યાદિત હોવાથી નોર્ધર્ન આયર્લેન્ડ અથવા સ્કોટલેન્ડની પરિસ્થિતિ વિશે કશું કહી શકાય તેમ નથી. ઈંગ્લેન્ડ અને વેલ્સની પોલીસને લોકોના લાપતા હોવાં વિશેના જે કોલ્સ મળે છે તેમાં ૨૦૧૫-૧૬ પછી નોંધપાત્ર વધારો થયો છે અને ૨૦૧૬-૧૭માં રોજ લગભગ ૧૨૪ લોકો લાપતા થવાની ફરિયાદ સાથે કુલ ૨૪૯,૩૧૫ના આંકડામાં ૧૦,૯૫૩ એશિયનોનો સમાવેશ થાય છે.

લોકોના લાપતા થવાના સામાન્ય કારણોમાં આત્મઘાતી વિચારો, હતાશાજન્ય વિચારો, સ્મૃતિભંગ સંબંધોમાં વિચ્છેદ, બાળકોનું શોષણ સહિતનો સમાવેશ થાય છે. NCA અનુસાર ૧૫થી ૨૧ વર્ષની વયના મોટા ભાગના યંગસ્ટર્સ પોતાના ઘર અથવા કેર હોમમાં દુઃખ અથવા અસલામતીની લાગણી અનુભવતા હોવાથી નાસી છૂટવાનું પસંદ કરે છે.

ભારતીય મોહમ્મદ અલીએ સસેક્સસ્થિત ન્યૂહેવનના ઘરમાં ૨૦૧૬ની ૧૨ ફેબ્રુઆરીએ તેની બાવન વર્ષીય પત્ની ફાતિમાને જોઈ હતી. ફાતિમા લાપતા થવાના કારણ અંગે તેના પરિવારમાં કોઈ અથવા પોલીસને જાણકારી નથી. મોહમ્મદ અલી કહે છે કે,‘અમારા લગ્ન ૩૭ વર્ષના હતા. દર વખતની જેમ હું શુક્રવારે ઘેર પહોંચ્યો ત્યારે તેને ઘરમાં ન જોતાં કશું ખરાબ થયાની લાગણી થઈ હતી. તે પાછી આવશે તેની રાહ જોતા કલાકો વીતી ગયા. આખરે અમે પોલીસમાં ફરિયાદ કરી હતી.’

પોલીસે તપાસ આરંભી પરંતુ, સાડા ત્રણ વર્ષ થવાં છતાં કશું બહાર આવ્યું નથી. ગયા વર્ષે તે દેખાયાની શક્યતા સાથે સીસીટીવી ફૂટેજ જોવાં મળ્યું અને હવે તે છે કે નહિ તે જાણવા તે જાહેર કરવામાં આવશે. સસેક્સ પોલીસ અનુસાર ફાતિમા બસ માટે દોડી રહી હોવાનું તેને ઓળખતી એક મહિલાએ ગત ઓગસ્ટમાં જણાવ્યું હતું. મોહમ્મદ કહે છે કે ફાતિમા સંપૂર્ણ સ્વસ્થ અને એક્ટિવ હતી. તેને માનસિક બીમારી ન હતી કે પરિવારને કોઈ નાણાકીય તકલીફ પણ ન હતી.

મોહમ્મદને સસેક્સ પોલીસ ઉપરાંત, ‘મિસિંગ પીપલ’ ચેરિટી પણ મદદ કરી રહી છે. આ ચેરિટી ગુમ થયેલા બાળકો અને લોકોને તેમના પરિવાર સાથે મેળવી આપવા માટે સમર્પિત સ્વતંત્ર ચેરિટી છે. ચેરિટી દ્વારા લાપતા વ્યક્તિ વિશેની માહિતીની જાહેરાત અને જેની પાસે સંબંધિત વ્યક્તિ વિશે માહિતી હોય તો આપવા અનુરોધ કરાય છે.

ઉલ્લેખનીય છે કે નવેમ્બર ૨૦૧૮માં ૪૮ વર્ષના પ્રકાશ પટેલ બેલગ્રેવસ્થિત ઘેરથી ગુમ થયાની ફરિયાદ તેમના પરિવારે પોલીસમાં નોંધાવી તેના આશરે ત્રણ સપ્તાહ પછી એબી પાર્ક નજીક લાઈમક્લિન લોક પાસેથી પોલીસ ડાઈવર્સ દ્વારા તેમનો મૃતદેહને શોધી કઢાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter