ઘણાં વર્ષોથી વેદિક હિંદુ ફિલોસોફીના પ્રખ્યાત અને માન્ય પ્રવક્તા જયેશભાઈ (જય) લાખાણીનું તા. ૪.૧૨.૨૦૨૦ને શુક્રવારે દુઃખદ અવસાન થયું છે. તેમની અણધારી વિદાયથી ભારતીય તેમજ બિનભારતીય સમુદાયોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ગઈ તા. ૦૬.૧૨.૨૦૨૦ને રવિવારે NCGO એ તેમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે વર્ચ્યુઅલ પ્રાર્થનાસભાનું આયોજન કર્યું હતું. સમાજના વિવિધ ક્ષેત્રના ૪૦૦થી વધુ લોકોએ તેમાં ભાગ લીધો હતો અને આ ઉમદા આત્માની ચિર શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
જયેશભાઈ (જય) લાખાણીનો જન્મ તા.૫.૧૨.૧૯૪૮ના રોજ કેન્યાના મોમ્બાસામાં થયો હતો. તેમણે તેમનું બાળપણ ટાન્ઝાનિયાના દાર-એ-સલામમાં વીતાવ્યું હતું. તેઓ ૧૫ વર્ષની વયે લંડન આવ્યા હતા. તેઓ બ્રિટિશ હિંદુ કમ્યુનિટીમાં ખૂબ જાણીતા વ્યક્તિ હતા. તેમણે વિવેકાનંદ સેન્ટર યુકેની સ્થાપના કરી હતી. બ્રિટનમાં હિંદુ ધર્મના પ્રસાર માટે ઘણાં વર્ષો સુધી તેમણે કાર્ય કર્યું હતું.
પોતાની પુત્રી માટે હિંદુ શિક્ષણની સુવિધા ન મળતાં તેમણે હિંદુ ધર્મ શીખવવાની શરૂઆત કરી હતી. હિંદુ ધર્મ વિશે તેમનાં ઘણાં લેખો પ્રકાશિત થયા હતા. તેમણે BBC અને ITVની ડોક્યુમેન્ટરીમાં પણ યોગદાન આપ્યું હતું.
મીઠપ વાળા માનવી આ જગ છોડી જાસે
કાગ એમની કાણ ઘર ઘર મંડાસે......
- કવિ દુલા કાગ