લંડનઃ કોરોના મહામારીના કારણે બ્રિટિશ યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા મોટા પાયે ઘટી જવાનો ભય છે ત્યારે વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના ભાઈ અને પૂર્વ યુકે યુનિવર્સિટીઝ મિનિસ્ટર જો જ્હોન્સન દ્વારા તૈયાર કરાયેલા નવા રિપોર્ટમાં ભારતીયો સહિત વિદેશી વિદ્યાર્થીઓને યુકેમાં આકર્ષવા ૪ વર્ષના પોસ્ટ સ્ટડી વિઝા પ્રોગ્રામ શરુ કરવાની સરકારને ભલામણ કરાઈ છે. આ વિઝાપ્રોગ્રામ બ્રિટિશ યુનિવર્સિટીઓ માટે લાભકારી બની રહેશે તેવી શક્યતા પણ જો જ્હોન્સને દર્શાવી હતી. આના પરિણામે, ૨૦૨૪ સુધીમાં અભ્યાસ માટે બ્રિટિશ યુનિવર્સિટીઓની પસંદગી કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા બમણી થશે તેમ પણ રિપોર્ટમાં જણાવાયું છે.
પૂર્વ યુકે યુનિવર્સિટીઝ મિનિસ્ટર જો જ્હોન્સન દ્વારા કિંગ્સ કોલેજ લંડન અને હાર્વર્ડ કેનેડી સ્કૂલ ખાતે પોલિસી ઈન્સ્ટિટ્યૂટ માટે તૈયાર કરેલા ‘યુનિવર્સિટીઝ ઓપન ટુ ધ વર્લ્ડઃ હાઉ ટુ પુટ ધ બાઉન્સ બેક ઈન ગ્લોબલ બ્રિટન’ રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે કોરોના મહામારીના કારણે દેશના ઉચ્ચ શિક્ષણ સેક્ટરને ભારે નુકસાન જશે અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ૫૦થી ૭૫ ટકાનો ઘટાડો થશે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે હોમ ઓફિસ દ્વારા લો-રિસ્ક ટિયર-૪ વિઝા યાદીમાંથી ભારતને સતત બાકાત રાખવાથી નારાજગી ફેલાયેલી છે.
ડીગ્રી કોર્સની સમાપ્તિ પછી દેશમાં કામ કરવાની ક્ષમતા વધારવા સાથે. ભારતીય વિદ્યાર્થીઓને ચીનની માફક ઓછાં જોખમના સ્ટુડન્ટ વિઝા સાથેના દેશની સાથે સમાવી લેવાય તો ભારતીય વિદ્યાર્થીઓ માટે તે આકર્ષક પૂરવાર થશે. તાજેતરના મહિનાઓમાં યુકે યુનિવર્સિટીઓને પસંદ કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધી હોવાની નોંધ પણ રિપોર્ટમાં લેવાઈ છે. જો જ્હોન્સને જણાવ્યું છે કે,‘ભારતીય વિદ્યાર્થીઓ માટે આ ઓફર ગેમ ચેન્જર સાબિત થશે. આપણી યુનિવર્સિટીઓ અને બ્રિટિશ ઉચ્ચ શિક્ષણનું ભારતમાં માર્કેટિંગ વધી શકશે. પોસ્ટ સ્ટડી વર્ક વિઝાનો મુદતવધારો ભારતીય વિદ્યાર્થીઓને ભારે અપીલ કરનારો નીવડશે, જેઓ ગ્રેજ્યુએટ થયા પછી દેશમાં રહી શકશે કે નહિ અને પોતાના અભ્યાસનો અસાધારણ ખર્ચ કાઢવા સાથે તેમણે મેળવેલા કૌશલ્યનો ઉપયોગ કરી શકશે કે નહિ તે બાબતે ભારે સંવેદનશીલ હોય છે.’
રાજકારણને તિલાંજલી આપી દેનારા પૂર્વ ટોરી સાંસદ જો જ્હોન્સન ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા ઉચ્ચ શિક્ષણ આપનારા દેશોની હરીફાઈમાં ટકી રહેવા યુકે દ્વારા સ્પર્ધાત્મક પોસ્ટ સ્ટડી વિઝાના લાંબા સમયથી તરફેણ કરી રહ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા બમણી કરવાની સાથે નાઈજિરિયા અને મલેશિયા જેવા નાના દેશોમાંથી પણ વિદ્યાર્થીઓને આકર્ષવાની તેઓ હિમાયત કરે છે, જેથી ચીન જેવા ચોક્કસ દેશ પર આધાર વધી ન જાય. તેમના રિપોર્ટમાં જણાવાયું છે કે યુકે ભારતની માગને સંતોષવાની સારી સ્થિતિમાં છે કારણકે માર્ચ ૨૦૨૦ના પૂરા થયેલાં વર્ષમાં તેના સ્ટુડન્ટ વિઝા સંખ્યામાં ૧૩૬ ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.