લંડનઃ યુકેમાં પાંચમાંથી લગભગ ચાર (૭૭ ટકા) અશ્વેત લોકોએ રંગભેદી નિંદા સહન કરવી પડી હોવાનું ITV પોલમાં જણાવ્યું છે. આ ઉપરાંત, વંશીય લઘુમતી પશ્ચાદભૂ સાથેના ૫૫ ટકા લોકોએ તેમના જીવનકાળમાં રંગભેદનું પ્રમાણ વધુ ખરાબ થયાનું જણાવ્યું હતું. અશ્વેત લોકોમાથી ૮૦ ટકાએ જણાવ્યું હતું કે તેમને તેઓ ખરેખર ક્યાંથી આવે છે તેવા પ્રશ્નો કરાય છે. રેસિઝમ વ્યાપક હોવાનું જણાવતા શ્વેત લોકોની સરખામણીએ અશ્વેતોની સંખ્યા બમણી રહી હતી. તમામ મતદારોમાં ૬૮ ટકાએ રેસિઝમનો સામનો કરવાના સાધન તરીકે શિક્ષણને મહત્ત્વપૂર્ણ ગણાવ્યું હતું.
પોલિંગ કન્સલ્ટન્સી ‘Number Cruncher Politics’ દ્વારા યુકેમાં રંગભેદ બાબતે કરાયેલા ITV પોલમાં ૭૭ ટકા અશ્વેત લોકોએ યુકેમાં રંગભેદી નિંદા કે જાતિગત અપશબ્દો સહન કરવા પડ્યા હોવાનું જણાવ્યું હતું. લગભગ ત્રીજા ભાગના અશ્વેતોએ યુકેમાં રેસિઝમની સ્થિતિ વધુ ખરાબ થયાનું જણાવ્યું ત્યારે બહુમતી બ્રિટિશરોએ યુકેમાં રંગભેદ વ્યાપક હોવાનું કહ્યું હતું. ૫૫ ટકા વંશીય લઘુમતી લોકોએ તેમના જીવનકાળમાં રંગભેદનું પ્રમાણ વધુ ખરાબ થયાનું જણાવ્યું હતું.
બ્રિટનમાં રેસિઝમનું પ્રમાણ વધ્યું
ITV માટે ‘સ્ટીફન લોરેન્સઃ હેઝ બ્રિટન ચેન્જ્ડ?’ સર્વે કરાયો હતો જેમાં, ૬૯ ટકા વંશીય લઘુમતી લોકો અને ૮૦ ટકા અશ્વેત લોકોએ કહ્યું હતું કે તેમને ‘તેઓ ખરેખર ક્યાંથી આવે છે’ તેવા પ્રશ્નો કરાય છે. વંશીય લઘુમતી જૂથમાં અશ્વેત લોકોમાંથી ૩૪ ટકાએ કહ્યું હતું કે બ્રિટનમાં રેસિઝમનું પ્રમાણ વધ્યું છે. બીજી તરફ, ૨૫ ટકાએ રેસિઝમ ઘટ્યાનું અને ૩૦ ટકાએ ખાસ ફેરફાર થયો નહિ હોવાનું જણાવ્યું હતું. આનાથી વિપરીત, વ્હાઈટ પાર્ટિસિપેન્ટ્સમાં લગભગ ૩૯ ટકાએ તેમના જીવનકાળમાં રેસિઝમ ઘટ્યાનું, ૨૭ ટકાએ વધ્યાનું અને ૨૪ ટકાએ યથાવત હોવાનું કહ્યું હતું.
આ મતદાનમાં ભાગ લેનારા વંશીય લઘુમતીના ૫૩ ટકા લોકો અને અશ્વેત લોકોના ૭૬ ટકાએ કહ્યું હતું કે તેમને દુકાનો સહિતના સ્થળોએ શંકાની નજરે જોવામાં આવે છે. વંશીય લઘુમતીના ૩૨ ટકા મતદારે હિંસા અથવા હિંસાની ધમકી અનુભવી હોવાનું કહ્યું હતું. વંશીય લઘુમતીના ૪૩ ટકા લોકો અને અશ્વેત લોકોના ૫૦ ટકાએ વર્કપ્લેસમાં તેમણે ભેદભાવ અનુભવ્યો હોવાનું કહ્યું હતું.
શાળાના અભ્યાસક્રમોમાં બ્રિટિશ સામ્રાજ્યના ક્ષેત્ર સહિત બ્રિટિશ ઈતિહાસ પર વધુ ભાર મૂકાવો જોઈએ તે મુદ્દે ૬૮ ટકા શ્વેત, ૬૮ ટકા વંશીય લઘુમતી અને ૭૮ ટકા અશ્વેત મતદારો સહમત હતા.
બ્લેક લાઈવ્ઝ મેટર આંદોલનથી શું ફેર?
બ્લેક લાઈવ્ઝ મેટર આંદોલનથી જાતિગત સમાનતાના ધ્યેયને બળ મળ્યું છે કે કેમ તેના વિશે આ જૂથોના મત અલગ હતા. વ્હાઈટ લોકોમાં ૪૪ ટકા માનતા હતા કે તેનાથી કોઈ ફેર નહિ પડે, ૩૩ ટકાએ ફેર પડ્યો છે અને ૨૩ ટકાએ જાણતા ન હોવાનો પ્રતિભાવ આપ્યો હતો. વંશીય લઘુમતી જૂથના લોકોમાં ૪૩ ટકાએ ફેર પડ્યો છે, ૩૦ ટકાએ તેનાથી કોઈ ફેર નથી પડ્યો અને ૨૭ ટકાએ જાણતા ન હોવાનું કહ્યું હતું. આ જ પ્રમાણે, અશ્વેત લોકોમાં બહુમતી ૫૬ ટકા માનતા હતા કે તેનાથી ફેર પડ્યો છે, માત્ર ૨૩ ટકાએ કોઈ ફેર નથી પડ્યો અને ૨૨ ટકાએ તેઓ જાણતા ન હોવાનો પ્રતિભાવ આપ્યો હતો.
સૌથી મહત્ત્વપૂર્ણ પ્રતિભાવમાં ૭૭ ટકા અશ્વેત લોકો, વંશીય લઘુમતીના ૫૯ ટકા લોકો અને વ્હાઈટ લોકોમાં ૪૨ ટકાએ પોલીસને રેસિસ્ટ ગણાવી હતી. ITV પોલ સામે પ્રતિભાવ આપતા મેટ પોલીસ કમિશનર હેલન બોલે તારણોને આઘાતજનક ગણાવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે,‘૧૯૯૯માં મેક્ફરસન રિપોર્ટ આવ્યો ત્યારે ૩૩માંથી એક પોલીસ ઓફિસર BAME બેકગ્રાઉન્ડના હતા, આજે આ પ્રમાણ સાતમાંથી એકનું છે. આ મોટો બદલાવ છે’