યુરોપમાં આવેલા મક્કાની યાત્રા કરો - બ્રિટિશ મુસ્લિમ વિરાસતની ગાથા

Wednesday 31st July 2019 05:18 EDT
 
 

લંડનઃ સરેમાં આવેલા કબ્રસ્તાનના એક ખૂણામાં દફનવિધિ વિશે સૂચનાની કોતરણી સાથેનો એક સદી જૂનો ‘કિબ્લા’ પથ્થર છે. તેમાં લખાયું છે, ‘કબર એવી રીતે ખોદવી કે જેનાથી મૃતદેહ દફનાવાય તે પછી તેનો ચહેરો મક્કા તરફ રહે.’ કબ્રસ્તાનની પાસે આવેલા ટ્રેક પરથી ટ્રેનો સતત લંડન તરફ દોડતી રહે છે. લંડનથી ૩૦ માઈલના અંતરે આવેલો બ્રુકવુડ કબ્રસ્તાનનો પાઈન વૃક્ષોથી આચ્છાદિત આ નાનો પ્લોટ દેશમાં નોંધાયેલી મુસ્લિમો માટેની સૌથી જૂની જગ્યા છે. નજીકના ઓરિએન્ટલ ઈન્સ્ટિટ્યુટમાં ભણવા આવતા ભારતીય વિદ્યાર્થીઓને દફનાવવા માટે ૧૮૮૪માં આ જમીન સંપાદિત કરવામાં આવી હતી અને શાહજહાં મસ્જિદ બ્રિટનની પહેલી ચોક્કસ હેતુસર બનાવવામાં આવેલી મસ્જિદ છે જે આજે પણ હયાત છે. બ્રિટિશ મુસ્લિમ વિરાસતનું દસ્તાવેજીકરણ કરવાના ‘એવરીડે મુસ્લિમ’ અને ‘હિસ્ટોરિક ઈંગ્લેન્ડ’ દ્વારા શરૂ કરાયેલા પ્રોજેક્ટમાં તે બ્રિટનમાં મુસ્લિમોની વિરાસતમાં કેન્દ્ર સ્થાને છે.

વિરાસતની વાત કરીએ તો તે ૧૯મી સદીમાં યુરોપના મક્કા તરીકે જાણીતી હતી. તેના વાદળી રંગના ઘૂમ્મટ, ભૌમિતિક પેટર્ન્સ અને મિનારાઓને લીધે તાજેતરમાં હિસ્ટોરિક ઈંગ્લેન્ડ દ્વારા તેનો ગ્રેડ 1ની યાદીમાં વર્કિંગ મુસ્લિમ વોર સિમેટરી પછીના સ્થાને સમાવેશ કરાયો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મૃત્યુ પામેલા મુસ્લિમ સૈનિકોને દફનાવવા માટે તેનું નિર્માણ કરાયું હતું. આ યાદીમાં બ્રુકવુડ ખાતે આવેલી ‘મોહમ્મદન સિમેટરી’ છેલ્લે આવે છે. આગળના ભાગમા મુલાકાતીઓને સિમેટરીના ઈતિહાસથી વાકેફ કરાવે છે.

હકીકતે ૧૮૯૫ સુધી ક્બ્રસ્તાનની કોઈ જરૂર જ ન હતી. પહેલી દફન વિધિ થઈ તે અર્લ્સ કોર્ટ ખાતે ક્વિન વિક્ટોરિયાના એમ્પાયર ઓફ ઈન્ડિયા પ્રદર્શનમાં પોતાની જાદૂની કલા દર્શાવવા બ્રિટન આવેલા જાદૂગર શેખ નૂબીની થઈ હતી. જોકે, શરૂઆતમાં જેમની દફનવિધિ થઈ તેમાંના ઘણા લોકો બ્રિટિશ સામ્રાજ્યના ન હતા. એક તબક્કે બ્રિટિશ શાસનમાં ૯૪ મિલિયન મુસ્લિમોની વસતિ હતી. પરંતુ, તે બધા ધર્મપરિવર્તન દ્વારા મુસ્લિમ બનેલા બ્રિટિશરો હતા.

શાહજહાં મસ્જિદના મેનેજર પ્લોટ ફરતે આટો મારતા ઈસ્લામ ધર્મ અંગીકાર કરનારા એક બ્રિટિશરની કબર પરના પથ્થર પર અરેબિક ભાષામાં લખાણ કોતરવામાં આવ્યું હતું તે વાતને યાદ કરે છે. તેનો અર્થ એવો હતો કે તેણે એક કરતાં વધુ વખત મક્કાની યાત્રા ‘હજ’ કરી હતી. આ કબર લોર્ડ હેડલીની છે. જેઓ રોલેન્ડ એલેન્સન–વિન તરીકે જન્મ્યા હતા. તેમણે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો અને તેની ૧૯૧૩માં ‘ધ ટાઈમ્સ’માં જાહેરાત કરી હતી. તેઓ વેશપલટો કર્યા વિના હજ કરનારા પ્રથમ બ્રિટિશર હોવાનું મનાય છે. જોકે, રિચાર્ડ બર્ટને વેશપલટો કરીને હજયાત્રા કરી હતી. હેડલીને તેમના નામની આગળ હાજી લખાવવાનો અધિકાર પ્રાપ્ત થયો હતો. એક અખબારે તેમનો ઉલ્લેખ ‘ધ લોર્ડલી મોહમ્મદન’ તરીકે કર્યો હતો. માર્ગમાં તેમને કેટલીક વખત મક્કાના અમીર કિંગ હસન દ્વારા મોકલવામાં આવેલી કારની સુવિધા અપાઈ હતી. એક વખત તેઓ પથારી વિના રણમાં સૂઈ ગયા હતા ત્યારે તેમને કિંગના કેમ્પ બેડનો ઉપયોગ કરવા દેવાયો હતો.

હેડલીએ પ્રારંભિક બ્રિટિશ મુસ્લિમો માટે પાયાના પથ્થર સમાન કાર્ય કર્યું. તેમણે શેખ રહીમતુલ્લાહ અલ -ફારુકનો ખિતાબ મેળવ્યો અને બ્રિટિશ મુસ્લિમ સોસાયટીની સ્થાપના કરી. તેમાં દર વર્ષે સૂફી સંગીત સાથે લંડનની એક હોટલમાં પયગમ્બર મોહમ્મદના જન્મદિનની ઉજવણી કરવામાં આવતી હતી. બાદમાં ઈંગ્લિશ મહિલાઓ પિયાનો વગાડતી હતી.

એવરીડે મુસ્લિમ્સ આર્કાઈવ્સ અને વિરાસતના સંશોધનમાં કેટલાંક વર્ષ ગાળનારા લેખક તારીક હુસૈને જણાવ્યું હતું,‘ આ બાબત યુકેમાં ઈસ્લામની સ્થાપના બ્રિટિશ પુરુષો અને મહિલાઓ દ્વારા કેવી રીતે થઈ હતી તે દર્શાવે છે.’

હેડલીની બાજુમાં ઈસ્લામ ધર્મ અપનાવનારા અન્ય વિક્ટોરિયન અને એંગ્લિકન પાદરીના પુત્ર માર્માડ્યૂક પીકથોલની કબર આવેલી છે. તેમણે મધ્યપૂર્વનો પ્રવાસ ખેડ્યો હતો. તેઓ મસ્જિદના ઈમામ બન્યા હતા. તેમણે કુરાનનું ઈંગ્લિશમાં કરેલું ભાષાંતર ખૂબ પ્રખ્યાત છે અને હજુ પણ વિશ્વમાં તેનો ઉપયોગ થાય છે. સોલિસિટર વિલિયમ ક્વિલિયમ ધર્મ પરિવર્તન કરીને અબ્દુલ્લા ક્વિલિયમ બન્યા અને લીવરપુલના એક ટેરેસવાળા મકાનમાં મસ્જિદની સ્થાપના કરી. ત્યાં તેમણે સેંકડો લોકોનું અને તેમાં પણ ખાસ તો કામકાજ કરતાં લોકોને ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવ્યો. લગ્ન દ્વારા શાહી પરિવાર સાથે સંકળાયેલા સર આર્ચીબાલ્ડ હેમિલ્ટનની કબર પણ ત્યાં આવેલી છે.

તાજેતરમાં જ હબીબે મસ્જિદના સભ્યોને પીક્થોલના ફોટોગ્રાફ્સ બતાવ્યા અને તેમને કહ્યું કે તેણે કુરાનનું ભાષાંતર કર્યું હતું. હબીબે કહ્યું, ‘ હું અંગ્રેજ હોવાનું જાણીને તેમને ખૂબ આશ્ચર્ય થયું’.

બ્રુકવુડની કથા શાહજહાં મસ્જિદની વાતનો એક ભાગ છે. સ્થાપત્ય ઈતિહાસકાર નિકોલસ પેવ્સનર તેનું વર્ણન ‘અદભૂત અદ્વિતીય નાની ઈમારત’ તરીકે કરે છે. તેનું નિર્માણ ૧૮૮૯માં શિક્ષણવિદ્ ડો.ગોટ્લીએબ લેઈટનર દ્વારા પૂર્ણ કરાયું હતું. તેને માટેના નાણાં મધ્ય ભારતના ભોપાલ રજવાડાની બેગમે આપ્યા હતા. તેના સૌ પ્રથમ ઉપાસકોમાં ક્વિન વિક્ટોરિયાના એક સેવક અબ્દુલ કરીમ હતા. તેમણે ક્વિન વિક્ટોરિયાને ઉર્દૂ શીખવાડ્યું હતું અને તેમના માટે કરી બનાવી હતી.

લાહોરથી આવેલા એક વકીલ ખ્વાજા કમાલ-ઉદ-દીનને ૧૯૧૨માં ઉજ્જડ અને જર્જરિત હાલતમાં એક મસ્જિદ મળી હતી. તેઓ ઈમામના ઘરે રહેવા લાગ્યા અને તેમની સાથે ધર્મપરિવર્તન કરનારા ચાર અંગ્રેજો હોવાનું તેમણે એક વર્ષમાં જણાવ્યું હતું. ૧૯૨૪ સુધીમાં બ્રિટનમાં ધર્મપરિવર્તન કરેલા ૧,૦૦૦ સહિત ૧૦,૦૦૦ જેટલાં મુસ્લિમો હોવાનું મનાતું હતું.

કમાલ-ઉદ-દીને હેડલીની સાથે રહીને કામ કર્યું. પશ્ચિમના દેશોમાં ઈસ્લામને કેવી રીતે અપનાવી શકાય તેના વિશે હેડલી લખવાના હતા. શહેરમાં કામકાજમાં ખૂબ વ્યસ્ત રહેતો માણસ કેવી રીતે દિવસમાં પાંચ વખત નમાજ અદા કરી શકે અને શાંત ચિત્તે કરેલી પ્રાર્થના જ પૂરતી છે તેવી તેમની દલીલ હતી.

મસ્જિદની મુલાકાત લેનારી પ્રસિદ્ધ વ્યક્તિઓમાં ફૈઝલ ઓફ સાઉદી અરેબિયા, બાદશાહ હૈલ સેલાસી અને થોડો સમય નોર્થ લંડનના હેમ્પસ્ટેડમાં રેહાલ અને પાછળથી પાકિસ્તાનના સ્થાપક બનેલા મોહમ્મદ અલી ઝીણાનો સમાવેશ થતો હતો. ઈમામને દેશભરમાંથી બોલાવવામાં આવતા હતા. ઉદાહરણ તરીકે તેમને બરફવર્ષામાં અમીર મહિલા એવલીન (આકા ઝૈનાબ) કોબોલ્ડની દફનવિધિ માટે સ્કોટલેન્ડ જવું પડ્યું હતું. તેણે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો અને ૬૦ વર્ષની વય બાદ જાતે કાર હંકારીને મક્કા ગઈ હતી. હુસેને જણાવ્યું કે તે સમગ્ર યુરોપ અને યુકેમાં ઈસ્લામ માટેનું કેન્દ્ર બની ગયું.

દ્વિતીય વિશ્વયુદ્ધ પછી મુસ્લિમોની વસતિ વધતાં વધુ મસ્જિદો બાંધવામાં આવી. ત્યારબાદ શાહજહાં બ્રિટિશ મુસ્લિમો માટે કેન્દ્ર રહી નહીં. હુસેને જણાવ્યું, ‘ આ આંકડા મહદઅંશે ભૂલાઈ ગયા.’

ઈમિગ્રન્ટ્સ દ્વારા તેની અવગણના પણ થવા લાગી. હબીબે કહ્યું, ‘ મારા જેવા ઘણાં લોકો એમ વિચારીને મોટા થયાં કે બ્રિટનમાં મુસ્લિમ ઈતિહાસની શરૂઆત ૧૯૬૦થી ૭૦ના દાયકામાં તેમના માતાપિતા અહીં આવ્યા ત્યારથી થઈ હશે.’ તેના માતાપિતા કાશ્મીરના હતા. તેઓ તેમના ઈતિહાસ માટે ત્યાં જોતા હતા. પરંતુ, હવે અમે પણ અમારા મૂળ અને વિરાસત માટે અહીં યુકેમાં શોધ કરીશું.

એક કબર પ્રિન્સેસ મુસ્બાહ હૈદર તરીકે ઓળખાતી મહિલાની હતી. તે મોહમ્મદ પયગમ્બરના સીધા વારસ હોવાનો દાવો કરી શકે તેમ હતી. મુસ્બાહના પિતા આમીર અલી હૈદર મક્કાની દેખરેખ રાખનારા ગ્રાન્ડ શેરિફના પૌત્ર હતા. મોટાભાગે તેઓ દેશનિકાલમાં ઈસ્તંબુલમાં જ રહ્યા હતા. ત્યાં તેમની મુલાકાત બ્રિટિશ યુવતી ઈઝાબેલ ડન સાથે થઈ હતી. તે તેમની બીજી પત્ની બની (બ્રિટિશ રાજદૂતની સલાહ વિરુદ્ધ) હતી. ૧૯૧૮માં બોસ્ફરસ ખાતેના મકાનમાં મુસ્બાહનો જન્મ થયો હતો. તે બ્રિટિશ આર્મી ઓફિસરને પરણીને ઈંગ્લેન્ડમાં સ્થાયી થઈ હતી.
હિસ્ટોરિક ઈંગ્લેન્ડના ચેરમેન લોરી મેગ્નસે પીક્થોલના વંશજ તરીકે ટ્રેઈલ સાથેના પોતાના સંબંધ વિશે કહ્યું,‘ તે મારી પરનાનીના પહેલા પિતરાઈ હતા. મારી માતા તેમને ખૂબ યાદ કરતી હતી અને ૨૦ વર્ષની વયે જ તેમનું મૃત્યુ થયું હતું. તેથી આ બે ટ્રેઈલ શરૂ કરવામાં મદદરૂપ થવામાં મજબૂત અંગત સંબંધ હોવાનું મને લાગે છે.’

હુસેન કહે છે, ‘ દેશમાં આ બ્રિટિશ મુસ્લિમોના મહત્ત્વના સ્થળો છે. મુસ્લિમો તેમજ બીન-મુસ્લિમોમાં બ્રિટિશ મુસ્લિમ વિરાસતનું જ્ઞાન ખૂબ ઓછું છે. આશા છે કે બન્ને માટે આ પ્રોજેક્ટ આશ્ચર્ય બનશે.’

હુસેન અને હબીબને આશા છે કે બ્રિટિશ મુસ્લિમ વિરાસતમા નવેસરથી રસને લીધે નવી વાતો પણ બહાર આવશે. બન્ને સ્વીકારે છે કે તે એક પુલ સમાન છે.

બ્રિટનના પ્રથમ બે મુસ્લિમ વિરાસત ટ્રેઈલ વર્કિંગ ટુડેમાં શરૂ થાય છે. everydaymuslim.org

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter