લંડનઃ યુકેની કાઉન્ટર - ટેરરિઝમ પોલીસે ૨૦ જૂન શનિવારે એક લીબિયન નાગરિક ખાઈરી સાદાલ્લાહ દ્વારા છરાબાજીના હુમલા પછી બર્કશાયરના રીડિંગના ઘણા ફ્લેટ્સ પર રેડ પાડી હતી. રીડિંગ ટાઉન સેન્ટરના ફોરબરી ગાર્ડન્સમાં સાંજે સાત વાગ્યાના સુમારે કેટલાક પ્રૌઢ વ્યક્તિ બેસીને બિયર પી રહ્યા હતા ત્યારે કરાયેલા આવેશપૂર્ણ હુમલામાં ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા હતા અને અન્ય ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી. હુમલાખોરે ગળાં અને હાથ નીચે છરાના ઘા માર્યા હતા. ઈજાગ્રસ્તોને રોયલ બર્કશાયર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ સમયે ઘટનાસ્થળે હાજર એકમાત્ર પોલીસ સાર્જન્ટે હિંમત દર્શાવી છરો ધરાવતા ૨૫ વર્ષીય હુમલાખોરને જમીન પર પટકી દીધો હતો અને તેની ધરપકડ કરી હતી. પોલીસે આ હુમલાને ત્રાસવાદને સંબંધિત ગણાવ્યા પછી કેસની તપાસ કાઉન્ટર - ટેરરિઝમ પોલીસને હસ્તક સોંપાઈ હતી. વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે પરિવાર અને મિત્રો સાથે સાંજ ગાંળી રહેલા લોકો પર ક્રૂરતાપૂર્ણ હુમલાને વખોડી કાઢ્યો હતો.
ઘટનાને નિહાળનારા સાક્ષીઓએ જણાવ્યું હતું કે હુમલાખોરે ફોરબરી ગાર્ડન્સમાં સાંજે સાત વાગ્યાની આસપાસ વ્યક્તિઓના એક જૂથને હુમલાનું લક્ષ્ય બનાવ્યું હતું. હુમલા પછી સોશિયલ મીડિયામાં ફરતા થયેલા ફૂટેજમાં ત્રણ વ્યક્તિ લોહીનીંગળતી અવસ્થામાં ઘાસ પર પડેલી દેખાઈ હતી. એર એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા હતા. અન્ય સાક્ષીએ જણાવ્યું હતું કે પાર્ક ભરચક હતો અને મિત્રોનું એક જૂથ વાતો કરતા બિયર પી રહ્યું હતું ત્યારે એક હુમલાખોરે બૂમ પાડવા સાથે ત્રણ વ્યક્તિ પર છરાથી હુમલો કર્યો હતો. હુમલાખોરે છરા સાથે અન્ય લોકો તરફ દોડવાનું શરુ કર્યું પરંતુ, લોકોએ નાસભાગ કરતા તે પણ પાર્કમાંથી બહાર નાસી ગયો હતો. હુમલાખોર માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પણ કહેવાયું છે.
આ હુમલાના ત્રણ મૃતકમાં ૩૯ વર્ષીય ફાર્માસ્યુટિકલ વર્કર જો રિચી-બેનેટ અને ૩૬ વર્ષીય હિસ્ટરી ટીચર જેમ્સ ફર્લોન્ગ અને ૪૯ વર્ષીય ડેવિડ વાઈલ્સનો સમાવેશ થયો છે. અમેરિકાના ફિલાડેલ્ફીઆના જો રિચી-બેનેટ બર્કશાયર ટાઉનમાં ડચ ફાર્માસ્યુટિકલ કંપની સાથે જોડાયેલા હતા અને ગત ૧૫ વર્ષથી યુકેમાં રહેતા હતા. હુમલાના સમયે તેઓ જેમ્સ ફર્લોન્ગ અને ડેવિડ વાઈલ્સ સહિતના મિત્રો સાથે પિકનિક ઉજવી રહ્યા હતા. જેમ્સ ફર્લોન્ગ વોકિંગહામમાં હોલ્ટ કોમ્યુનિટી સ્કૂલમાં ઈતિહાસ વિભાગના વડા હતા. હુમલાના ત્રીજા મૃતક ડેવિડ વાઈલ્સ ગ્લોબલ કેમિકલ્સ કંપનીમાં સીનિયર સાયન્ટિસ્ટ હતા. બે ઈજાગ્રસ્ત હજુ સારવાર હેઠળ છે અને એકને રજા આપી દેવાઈ હતી.
સાદાલ્લાહે રાજકીય આશ્રય માગ્યો હતો
એમ કહેવાય છે કે સાદાલ્લાહ લીબિયામાં ચુસ્ત ધાર્મિક જીવન ગુજારતો ન હતો અને શરાબનો શોખીન હોવાથી તેને ઈસ્લામિક કટ્ટરવાદીઓ તરફથી જોખમ હતુ. આના કારણે તેણે યુકેમાં એસાઈલમની માગણી કરી હતી. પોલીસ તપાસમાં એમ પણ બહાર આવ્યું છે કે સાદાલ્લાહ ૨૦૧૨માં પર્યટક તરીકે લીબિયાથી યુકે આવ્યો હતો અને ત્રણ વર્ષ અગાઉ ધાર્મિક બ્રિટિશ મહિલા સાથે ડેટિંગ કર્યા પછી તે ચર્ચમાં જતો થયો અને છેવટે ખ્રિસ્તી તરીકે ધર્માન્તર કર્યું હતું. તે ગયા વર્ષે ઉગ્રવાદી કારણોસર સીરિયા જવા માગતો હોવાની શંકા હેઠળ MI5ની નજરમાં પણ આવ્યો હતો. તેને ઓક્ટોબર ૨૦૧૯માં અન્ય ગુનાઓ માટે બે વર્ષથી વધુની જેલની સજા કરાઈ હતી પરંતુ, આ વર્ષે કોર્ટ ઓફ અપીલે સજા ઘટાડી ૧૭ મહિનાની કરી હતી. ૧૬ દિવસ અગાઉ જ તેને ઓક્સફર્ડશાયરની બુલિંગ્ડોન જેલમાંથી મુક્ત કરાયો હતો. તેની મુક્તિ પહેલા તેને માનસિક અસ્થિરતાનું નિદાન કરાયું હતું અને દવાઓ લેવાની સલાહ અપાઈ હતી. તેને સજા કરાઈ હોવાં છતાં, વિદેશી નાગરિકોને લીબિયા જેવાં નિષ્ફળ દેશોમાં દેશનિકાલ નહિ કરવાની યુકેની નીતિના કારણે તે બચી ગયો હતો. ખાઈરી સાદાલ્લાહના ભાઈ મોએ ત્રાસવાદના ગુનામાં કરાયેલી ધરપકડનો વિરોધ કર્યો હતો. તેણે કહ્યું હતું કે સાદાલ્લાહ હુમલો નહિ, પોતાનો બચાવ કરી રહ્યો હતો.
શનિવારે રાત્રે ૨૦ સશસ્ત્ર ઓફિસરોએ ઘટનાસ્થળથી આશરે એક માઈલ દૂર ચાર મજલા ફ્લેટ્સ પર દરોડો પાડ્યો હતો અને હેલિકોપ્ટર પર આકાશમાં ફરતું જણાયું હતું. પોલીસ અન્ય શકમંદો અથવા વધુ શસ્ત્રોની તલાશમાં હતી તે સ્પષ્ટ થયું ન હતું. અગાઉ શનિવારે જ ફોરબરી ગાર્ડન્સ ખાતે બ્લેક લાઈવ્ઝ મેટર દ્વારા શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શન કરાયું હતું તેના ત્રણ કલાક પછી આ હુમલો થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે હુમલાને તે પ્રદર્શન સાથે કોઈ સંબંધ નથી.