રેસિસ્ટ પૂતળાં-સ્મારકોનું ભારતીય કનેક્શન

Wednesday 17th June 2020 02:06 EDT
 
 

લંડનઃ BLMના સમર્થકોએ રંગભેદ અને ગુલામી સાથે સંકળાયેલા ૭૮ પૂતળાં અને સ્મારકોની યાદી બનાવી છે તેમાં ભારતમાં વેપાર કરવા આવેલી અને પછી બ્રિટિશ સામ્રાજ્ય સ્થાપવામાં કારણભૂત બનેલી ઈસ્ટ ઈન્ડિયા કંપનીની લંડનસ્થિત ઈસ્ટ ઈન્ડિયા એસ્ટેટનો સમાવેશ પણ થાય છે. આ એસ્ટેટ ખાતે ૧૮૦૯-૧૮૬૧ના ગાળામાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ખાનગી આર્મીના કેડેટ્સને લશ્કરી ટ્રેનિંગ અપાતી હતી અને તેમનો ઉપયોગ ૧૮૫૭માં ભારતમાં કંપનીના લશ્કરમાં પણ કરાયો હતો.

BLM યાદીમાં આ ઉપરાંત, ક્લાઈવ ઓફ ઈન્ડિયા તરીકે જાણીતા રોબર્ટ ક્લાઈવનું શ્રોપશાયરમાં આવેલું પૂતળું પણ સમાવિષ્ટ છે. વ્હાઈટહોલ અને શ્રુસબરીમાં તેના પૂતળાં હટાવવા જોરદાર માગ ઉઠી છે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના એજન્ટ અને બેંગાલ પ્રેસિડેન્સીના પ્રથમ ગવર્નર રોબર્ટ ક્લાઈવે મોટા ભાગના ભારત પર કબજો જમાવી બ્રિટિશ રાજના પાયાનું નિર્માણ કર્યું હતું. ભારતની અઢળક સંપત્તિ લૂંટી પોતાનું ઘર ભરવામાં ક્લાઈવે કશું બાકી રાખ્યું ન હતું. આધુનિક ઈતિહાસવિદોએ ભારતીયો પર ક્લાઈવના ભારે અત્યાચાર, ઊંચા કરવેરા તેમજ દુકાળને ઉત્તેજન આપનારા પાક લેવાની ખેડૂતોને પાડેલી ફરજ સહિતના મુદ્દાઓ પર તેની ભારે ટીકા કરી છે. તેના વિરુદ્ધ બ્રિટિશ પાર્લામેન્ટમાં ટ્રાયલ પણ ચલાવાઈ હતી.

સ્કોટલેન્ડમાં આયરના વેલિંગ્ટન સ્ક્વેરમાં જનરલ જ્યોર્જ સ્મિથ નીલનું સ્મારક પણ જોખમમાં છે. જનરલ નીલે ૧૮૫૭માં ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ફરજ બજાવી હતી અને તેણે બીબીઘર (Bibighar) હત્યાકાંડમાં ભારતીયોની હત્યાનો આદેશ આપ્યો હોવાનો આરોપ લગાવાય છે.

ભારતની આઝાદી અને વિભાજન માટે કારણભૂત મનાયેલા લોર્ડ લૂઈ માઉન્ટબેટનની પ્રતિમા વેસ્ટમિન્સ્ટરના હોર્સ ગાર્ડ્સ રોડ ખાતે આવેલી છે. પ્રિન્સ ફિલિપના કાકા માઉન્ટબેટન બ્રિટિશ રાજના ભારતના આખરી વાઈસરોય હતા. ભારતના બંગાળ, પંજાબ અને સિંધ સહિત કેટલાક પ્રાંતોના વિભાજનના કારણે લગભગ ૨૦ મિલિયન લોકોએ હિજરત કરવી પડી હતી અને આશરે બે મિલિયન લોકોના મોત નીપજ્યાં હતા.

બ્રિટનના પૂર્વ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલ ભારત સાથે એ રીતે સંકળાયેલા ગણાય કે તેમણે ભારતને આઝાદી આપવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. ચર્ચિલ મહાત્મા ગાંધીને ‘અર્ધનગ્ન ફકીર’ તરીકે જ ઓળખાવતા હતા. ગાંધી અને ભારતીયો પ્રત્યે તેમનો અણગમો જગજાહેર હતો. બંગાળના દુકાળ અને ભૂખમરા માટે ચર્ચિલની નીતિને જવાબદાર ગણાવાઈ હતી.

બ્રિટનની ઈસ્ટ ઈન્ડિયા કંપની વતી ૧૮૪૩માં ભારતના સિંધ પ્રાંત (હાલ પાકિસ્તાન)માં લશ્કરી કબજો મેળવનાર જનરલ ચાર્લ્સ જેમ્સ નેપિયરનું પૂતળું ટ્રફાલ્ગર સ્ક્વેરમાં છે. જનરલ નેપિયર ૧૮૪૭ સુધી સિંધના કોલોનિયલ ગવર્નર હતા. સિંધ પર કબજો મેળવવા તેમે સ્થાનિક નેતાઓ વિરુદ્ધ યુદ્ધ આદર્યું હતું જેમાં, આશરે ૧૦,૦૦૦ ભારતીયોએ જાન ગુમાવ્યા હતા. નેપિયરને ૧૮૪૯થી ૧૮૫૧ના ગાળામાં ભારતમાં કમાન્ડર ઈન ચીફ નિયુક્ત કરાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter