બલંડનઃ કોરોના કટોકટીમાં NHS ચેરિટીઝ માટે ૩૨ મિલિયન પાઉન્ડનું મહાદાન એકત્ર કરી લોકોના હૃદયમાં સ્થાન મેળવી ચૂકેલા કેપ્ટન થોમસ મૂરે ૩૦ એપ્રિલ ગુરુવારે ૧૦૦મી વર્ષગાંઠ ઉજવી ત્યારે તેમણે કેપ્ટનમાંથી કર્નલનું પ્રમોશન મેળવ્યું હતું. ક્વીન એલિઝાબેથ દ્વિતીયે કેપ્ટન મૂરના કાર્યની પ્રશંસા કરી તેમને ઓનરરી કર્નલ બનાવ્યા છે. તેમના માનમાં રોયલ એર ફોર્સ દ્વારા ફ્લાય પાસ્ટનું આયોજન પણ કરાયું હતું. ક્વીન અને વડા પ્રધાને તેમને જન્મદિનના અંગત અભિનંદન સંદેશા પણ પાઠવ્યાં હતાં. આર્મી વડા જનરલ સર માર્ક કાર્લેટન-સ્મિથે કેપ્ટન ટોમને પ્રેરણાદાયી આદર્શ ગણાવ્યા હતા.
કેપ્ટન અને હવે કર્નલ મૂરે જણાવ્યું હતું કે,‘ મેં કશું નોંધપાત્ર કર્યું હોવાનું લોકો કહી રહ્યા છે પરંતુ, વાસ્તવમાં તમે મારા માટે જે કર્યું છે તે જ અસામાન્ય છે. આટલા બધી શુભેચ્છકો સાથે ૧૦૦ વર્ષના થવું ખરેખર અસામાન્ય બાબત છે. તમામ લોકોએ આપેલું દાન અદ્ભૂત છે.’ તેમણે એમ પણ કહ્યું હતું કે ‘મહેરબાની કરી હંમેશાં યાદ રાખજો કે આવતી હાલ સારો દિવસ જ હશે.’
કેપ્ટને પોતાનો જન્મદિન બેડફોર્ડશાયરના માર્સટોન મોરે ટાઈને ગામમાં પોતાના નિવાસે દીકરી હાન્નાહ ઈન્ગ્રામ-મૂર અને તેનાં પરિવાર સાથે વીતાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે લોકોએ કેપ્ટનના જન્મદિન નિમિત્તે ૧૦૦,૦૦૦થી વધુ પત્રો પાઠવ્યા હતા અને ૧૦૦૦થી વધુ ભેટ મોકલી હતી. કેપ્ટન ટોમે શરૂઆતમાં તો NHS ચેરિટીઝ ટુગેધર માટે ૧,૦૦૦ પાઉન્ડ એકત્ર કરવા પોતાના ઘરના બગીચામાં ૧૦૦ લેપ્સ (૨.૫ કિ.મી. અથવા ૧.૬ માઈલ) ચાલવાની જાહેરાત કરી હતી પરંતુ, લોકોએ ભારે પ્રતિસાદ આપી ચેરિટીઝની ઝોળી છલકાવી દીધી છે.