લંડનઃ વિનુભાઈના હુલામણા નામથી જાણીતા વિનોદરાય બચુભાઈ નાગરેચાના જીવનના હૃદયસ્પર્શી સ્મરણોની ઊજવણી કરવાનો કાર્યક્રમ લંડનસ્થિત હરિબહેન બચુભાઈ નાગરેચા હોલ ખાતે રવિવાર 11 મે, 2025ના રોજ યોજાયો હતો.
લોકો માટે ખૂબ આદરપાત્ર બની રહેલા વિનુભાઈએ 22 એપ્રિલ, 2024ના રોજ દુનિયામાંથી ચિરવિદાય લીધી હતી અને તેમની પાછળ પ્રેમ, અનુકંપા અને સેવાની ટકાઉ વિરાસત છોડી ગયા હતા. કોમ્યુનિટીના અગ્રેસર, પરોપકારી વ્યક્તિત્વ અને સફળ બિઝનેસમેન વિનુભાઈ યુકે, ભારત અને આફ્રિકામાં તેમના સાંસ્કૃતિક જતન, માનવતાવાદી પ્રયાસો અને કોમ્યુનિટીના કલ્યાણની અવિરત પ્રતિબદ્ધતા માટે ખૂબ જાણીતા હતા.
મૂળ યુગાન્ડાના બુન્યોરો વિસ્તારના વિનુભાઈ કદી પોતાના મૂળિયાને ભૂલ્યા ન હતા. અનેકવિધ ઉદ્દેશો માટે ઉદાર સપોર્ટ આપવા સાથે તેમણે માત્ર યુકેમાં જ નહિ, ભારત અને આફ્રિકામાં પણ કોમ્યુનિટીઓને એકસંપ થવામાં અને તેમના ઉત્થાનમાં પાયારૂપ ભૂમિકા ભજવી હતી.
આ સ્મરણપ્રાર્થના ઈવેન્ટમાં પરિવાર, મિત્રો અને શુભેચ્છકોએ સંવેદનાત્મક સંબોધનો, હૃદયસ્પર્શી સ્મરણો અને આત્માને ડોલાવતા સંગીત થકી વિનુભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રાર્થના ઈવેન્ટનું યુટ્યૂબ પર જીવંત પ્રસારણ પણ કરાયું હતું. જેથી, દૂરસુદૂર રહેલા લોકો પણ વિનમ્રતા, ઉદારતા અને સબળ ચારિત્ર્ય ધરાવતા માનવીના જીવનને યાદ કરવામાં સામેલ થઈ શકે.
વિનોદરાય બચુભાઈ નાગરેચાનો વારસો આગામી પેઢીઓને પ્રેરણા આપવાનું કાર્ય સદૈવ કરતો રહેશે.