લંડન, ભુજઃ યુરોપના સૌ પ્રથમ શિખરબદ્ધ હિન્દુ મંદિર લંડન-વિલ્સડન મંદિર દ્વારા વિશ્વનું પ્રથમ ભક્તિ-ધર્મ કેન્દ્ર ૧૦૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. ૧.૨૦ લાખ સ્ક્વેર ફૂટ બાંધકામ, ૧૯ બેડ રૂમ, વિશાળ કોમન જગ્યા, બગીચા અને જિમની સુવિધા સાથેનું આ કેન્દ્ર ઐતિહાસિક નવ દિવસીય મહોત્સવ સાથે જુલાઇ મહિનામાં ખુલ્લું મુકાશે. અક્ષમો તેમજ એકલવાયું જીવન જીવતી વ્યક્તિઓ માટે તજજ્ઞો દ્વારા નિયમિત કાઉન્સિલિંગ, હિન્દુ શાકાહારી ત્રણ ટાઇમ ભોજન પદ્ધતિ, કપડાં, સફાઇ, સહયોગ ને અપાશે. ૫૫ વર્ષથી વધુ વયના લોકો અહીં પોતીકાપણાનો અહેસાસ કરશે. નાદુરસ્તી સમયે નર્સિંગની સુવિધા, વોકિંગ ટ્રેક, બાળકો સાથે રમવા-રમાડવાની સુવિધા સહિત મૈત્રીસભર હૂંફ આપવાનો પ્રયાસ છે. ધાર્મિક સંસ્કાર પ્રમાણે સત્સંગ હોલ, ભજન-ભક્તિ અને આરાધનાની સુવિધા પણ કરાઇ છે.
વિલ્સડન સ્વામિનારાયણ મંદિરનો આ મહાપ્રકલ્પ કોઈ વૃદ્ધાશ્રમ કે ઘરડાંઘર નથી. ભારતીય પરિવાર પરંપરાને ખંડિત કરતી માનસિકતાને અહીં સ્થાન નથી. આ એક એવું સર્જન છે જ્યાં વૈચારિક ઘડતર કરાશે. મંદિરના પ્રમુખ કુરજીભાઇ અરજણ કેરાઇ (નારાણપર)ના કહેવા અનુસાર અહીં પાશ્ચાત્ય ઓલ્ડ એજ કેર હોમ અને ભારતીય કુટુંબ પ્રથાનું સંયોજન છે. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, વરિષ્ઠ કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત આદિ સંતોની પ્રેરણાથી સ્થાનિક જરૂરિયાતોને ધ્યાને લઇ સત્સંગ પ્રણાલી અનુસાર વ્યવસ્થાઓ ગોઠવાઇ છે.
નરનારાયણદેવ ગાદી આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજની નિશ્રામાં આ સંતો-મહંતોના હસ્તે ૨-૭-૨૦૧૭ના દિવસે ભૂમિપૂજન થયું હતું. પૂરા બે વર્ષમાં સાકાર આ સંકુલ ઇકોફ્રેન્ડલી હોવાનું જણાવી બાંધકામનો હવાલો સંભાળતા કે.કે. જેશાણી (ટ્રસ્ટી-વિલ્સડન સ્વામિ. મંદિર)એ ઉમેર્યું હતું કે આ પ્રકારનું સર્જન કોઇપણ હિજરતી ભારતીય સમુદાયમાં લંડન ખાતે પ્રથમ અને એકમાત્ર છે. જેમાં અનેક દાનવીર દાતાઓ, બિઝનેસ કોમ્યુનિટી અને તમામ હરિભક્તોએ સાથ આપ્યો છે અને ભુજ મંદિરના આશીર્વાદ છે.
ઐતિહાસિક મહોત્સવ
તારીખ ૧૩ જુલાઇ ૨૦૧૯થી નવ દિવસીય ઉદ્ઘાટન મહોત્સવમાં ભુજધામથી બહોળી સંખ્યામાં સંતો, ધર્મકુળ પરિવાર અને ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, અમેરિકા અને માદરે વતન કચ્છથી અનેક પરિવારો ભાગ લેશે. પાર્ષદવર્ય જાદવજી ભગતે કહ્યું કે આ સર્જનમાં યુ.કે.ના તમામ મંદિરોના હરિભક્તોનો સાથ છે, વિલ્સડન મંદિરના તમામ કારોબારી સભ્યોએ ઘણી જહેમત ઉઠાવી છે