પ્રથમ વિશ્વ ધર્મ સંસદમાં ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩માં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે અમેરિકા જનાર પહેલા ગુજરાતી જૈન તરીકે શ્રી વીરચંદ રાઘવજી ગાંધીનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થયેલ છે. જેમની ૧૫૭મી જન્મજયંતિ ૨૫ ઓગષ્ટના રોજ ઉજવાઇ.
૨૫ ઓગષ્ટ ૧૮૬૪માં ભાવનગર નજીક મહુવા ગામે શ્રી રાઘવજી તેજપાલ ગાંધીના સુપુત્ર વીરચંદનો જન્મ થયો હતો. તેઓ બીઝનેસમેન હતા.
વિશ્વ ધર્મ પરિષદમાં જૈન પ્રતિનિધિ તરીકે આચાર્ય વિજયાનંદ સૂરિશ્વરજી મહારાજને આમંત્રણ મળ્યું હતું પરંતુ જૈન ભગવંતો જહાજ કે વિમાન યાત્રા ન કરી શકે એટલે એમણે વીરચંદ ગાંધીને છ મહિના જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યા બાદ અમેરિકાની વિશ્વ ધર્મ સંસદમાં જૈન પ્રતિનિધિ તરીકે મોકલ્યા હતા. જેમણે જૈન ધર્મની યશોગાથાથી સમગ્ર વિશ્વને પરિચિત કર્યું. અમેરિકન ન્યુઝ પેપર બફેલો કુરીયરે ગાંધી વિષે લખ્યું હતું કે, " બધા જ પૂર્વીય વિધ્વાનોમાં યુવા ગાંધીએ આપેલ જૈન ધર્મ પરના વકતવ્યને ખુબ જ રસપૂર્વક અને ધ્યાનથી શ્રોતાજનોએ સાંભળ્યું હતું." ભગવાન મહાવીરના અહિંસાના સંદેશ તેમજ વિશ્વ મૈત્રીના તે વાહક હતા. તેમણે યુ.એસ. અને યુરોપમાં ૫૩૫ જેટલા વ્યાખ્યાનો આપ્યા હતા જેના પ્રભાવથી હજારો માંસાહારીઓ અને વ્યસનીઓએ એનો ત્યાગ કર્યો. તેઓ બે વર્ષ યુ.એસ.માં અને એક વર્ષ યુ.કે.માં પણ રહ્યા હતા.
હર્બટ વોરેને વીરચંદ ગાંધી પાસેથી જૈન ધર્મનો અભ્યાસ કરી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો અને ગાંધીના વ્યાખ્યાનોનું સંકલન કરી પુસ્તક પ્રકાશિત કર્યું હતું.
શ્રી વીરચંદજી મુંબઇની એલફિસ્ટન કોલેજમાંથી લો ગ્રેજ્યુએટ થયા હતા અને વ્યવસાયે બેરીસ્ટર હતા. ગાંધીજીના મિત્ર અને એમની સાથે શાકાહારની ચળવળમાં જોડાયા હતા. ૨૧ વર્ષની યુવા વયે જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયાના તેઓ માનદ્ સેક્રેટરી બન્યા હતા. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, ફ્રેન્ચ, અંગ્રેજી સહિત ૧૪ ભાષાઓના તે જાણકાર હતા. જૈન ધર્મ તથા બૌધ્ધ, વેદાંત ફોલોસોફી, ક્રિશ્ચિયન અને વેસ્ટર્ન આદી ફીલોસોફીનું ઊંડું જ્ઞાન ધરાવતા હતા. જૈનોના હક્કો અને રક્ષણ માટે આપેલ પ્રદાન નોંધપાત્ર છે. પાલીતાણા અને શિખરજીના યાત્રા વેરોનો વિવાદ ઉકેલ્યો હતો. શિખરજીમાં કતલખાનું બંધ કરાવ્યું હતું.
એમને "ગાંધી ફિલોસોફીકલ સોસાયટી અને સોસાયટી ફોર ધ એજ્યુકેશન ઓફ વુમન ઇન ઇન્ડીયા"ની સ્થાપના કરી હતી. ૧૮૯૫માં પૂનામાં ભરાયેલ ઇન્ડીયન નેશનલ કોંગ્રેસમાં મુંબઇના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી. ૧૯ ડીસેમ્બર ૧૮૯૮માં ઇન્ડીયન પોલીટીક્સ અને ઇન્ડસ્ટ્રી વિષય પર વિલિયમ સાયન્સ બિલ્ડીંગના મોટા હોલમાં પ્રવચન આપ્યું હતું.
૧૮૯૯માં ભરાયેલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ કોમર્સમાં એશિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એક દેશભક્ત તરીકે એમને નામના મળી હતી.
૭ ઓગષ્ટ ૧૯૦૧માં ૩૭ વર્ષની યુવા વયે તેમનું દેહાવસાન થયું હતું. એમની સ્મૃતિમાં ટપાલ ટિકિટ પણ બહાર પડાઇ હતી.
આ વિભૂતિને સમગ્ર દેશ જાણે અને પ્રેરણા મેળવે એ હેતુથી અખિલ ભારતીય શ્વેતામ્બર મૂર્તિપૂજક યુવક મહાસંઘની સ્થાપના કરાઇ છે. જે દર વર્ષે એમની જન્મ જયંતિની ઉજવણી કરી જૈન ધર્મના સિધ્ધાંતો અને મૂલ્યોના પ્રચાર-પ્રસારનું કામ કરે છે. આવા વીર પુરૂષના ચરણોમાં શબ્દાંજલિ ધરતાં આનંદ અને ગૌરવ ઉપજે છે. પ્રણામ!