લંડનઃ ૨૦૦૧થી ૨૦૦૩ દરમિયાન થયેલા ૨૫૦ મિલિયન પાઉન્ડના વેટ કૌભાંડના ૧૫ પૈકી એક ગુનેગાર નાસીર ખાનને કોર્ટે તેના હિસ્સાની રકમ ચૂકવવામાં મુક્તિ આપી છે. અગાઉ કોર્ટે આ કૌભાંડમાં તેના હિસ્સાના ૧૪ મિલિયન પાઉન્ડ ચૂકવવાનો આદેશ કર્યો હતો. કૌભાંડની તપાસ બાદ ૨૦૧૧માં ખાન સહિત ૧૫ ગુનેગારને જેલભેગા કરી દેવાયા હતા.
જજનો જપ્તીનો હુકમ અને ટેક્સ ઓફિસરો દ્વારા શક્ય તેટલી વધુ રકમની વસૂલાત કરવાની પ્રતિબદ્ધતા છતાં ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS)એ હવે તેને કોઈ રકમ ચૂકવવાની રહેતી ન હોવાનું જણાવ્યું હતું.
કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે જે નાણાનો ઉપયોગ હોસ્પિટલો અને સ્કૂલો માટે થવો જોઈએ તે રકમ અપ્રમાણિક લોકોના ખિસ્સામાં ગઈ હતી. નાસીર ખાને વેટ કૌભાંડના તેના હિસ્સાના ૧૪ મિલિયન પાઉન્ડનો ઉપયોગ યુકે અને સ્પેનમાં પ્રોપર્ટી અને ફેરારી, લેમ્બર્ગિની તથા બેન્ટલે જેવી કાર તથા એક યોટ ખરીદવામાં કર્યો હતો. ટેક્સપેયરોના નાણાંથી તે ઈન્ટરનેશનલ પ્લેબોય જેવું વૈભવી જીવન જીવતો હતો. કોર્ટ અને ટેક્સ ઓફિસરો દ્વારા તેની તમામ સંપત્તિ જપ્ત કરાયા પછી પણ તેણે જંગી રકમ ચૂકવવાની થતી હતી.

