લંડનઃ કોવિડ મહામારી દરમિયાન ૨૦૦,૦૦૦થી વધુ લોકોને ભોજન કરાવનાર વેમ્બલીના સ્વયંસેવી દંપતી દક્ષાબહેન વરસાણી અને પરેશભાઈ જેઠવાને વડા પ્રધાન બોરિસ જ્હોન્સન દ્વારા ‘પોઈન્ટ ઓફ લાઈટ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. પ્રશંસનીય વોલન્ટીઅર યોગદાન આપનારાને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.
આ દંપતીએ એલ્પર્ટનમાં ‘કોમ્યુનિટી રિસ્પોન્સ કિચન’ની સ્થાપના કરેલી છે. તેમણે નોર્થવિક પાર્ક હોસ્પિટલના કોવિડ યુનિટમાં કાર્યરત તેમની ભત્રીજી સહિત NHS સ્ટાફને ભોજનસેવાનો લાભ આપ્યો હતો.
એવોર્ડ મેળવીને તેઓ ભારે ગદ્ગદ બન્યા હોવાનું જણાવતા દંપતીએ કહ્યું હતું, ‘લોકડાઉન દરમિયાન ‘કોમ્યુનિટી રિસ્પોન્સ કિચન’ લંડનમાં NHS વર્કર્સ અને નિરાધાર લોકોની સહાયમાં દરરોજ કાર્યરત રહ્યું હતું. અમારા વોલન્ટીઅર્સની નિષ્ઠાવાન ટીમ અમારા ઉદ્દેશ પ્રતિ કટિબદ્ધ રહી હતી. શરૂઆતમાં અમે પોતાના માટે રાંધવામાં મુશ્કેલી અનુભવતા ડોક્ટર્સ અને નર્સીસને મદદ કરી હતી પરંતુ, બાદમાં કોમ્યુનિટીના અન્ય લોકોની મુશ્કેલીઓ નિહાળી સહાયના કામકાજને વિસ્તાર્યું હતું. સમય હજુ કપરો રહેવાનો છે અને કોમ્યુનિટી રિસ્પોન્સ કિચન આમાંથી બહાર આવવામાં તમામ લોકોને મદદ કરવા તત્પર છે.’
માર્ચ મહિનાથી તેઓ ૨૦૦,૦૦૦ ગરમાગરમ ભોજન રાંધીને નોર્થ લંડન, વેસ્ટ લંડન, ગ્રેનફેલ ટાવરના અસરગ્રસ્તો, ફૂડ બેન્ક્સ, બ્રેન્ટ તેમજ કિલ્બર્નમાં એકલવાયા અને નિરાધાર રહેવાસીઓને સહાય કરતી ગ્રાનવિલે કોમ્યુનિટી કિચન સહિત મ્યુચ્યુઅલ એઈડ ગ્રૂપ્સને ભોજન પહોંચાડતા રહ્યા હતા.
વડા પ્રધાન જ્હોન્સને દક્ષાબહેન અને પરેશભાઈને પાઠવેલા અંગત પત્રમાં જણાવ્યું છે કે, ‘ગત થોડાંક મહિનાઓમાં આપણી અદ્ભૂત NHSમાં કાર્યરત અસામાન્ય સ્ત્રીઓ અને પુરુષોને સપોર્ટ કરવા સમગ્ર દેશ અનેક રીતે આગળ આવ્યો છે તેમાંથી મને પ્રેરણા મળી છે. તમારી ભત્રીજી પાસેથી તમે જાણ્યું જ હશે કેતેમણે ખુદ તકલીફો સહન કરીને મારા સહિત અગણિત લોકોના જાન બચાવ્યા છે. તમારી સ્વાદિષ્ટ કરી, પપૈયા સલાડ અને લીંબુના અથાણાં સહિતની વાનગીઓ હજારો લોકોને પહોંચતી કરી છે તે બદલ હું આપનો આભારી છું. તમારા પ્રયાસો કોમ્યુનિટી ભાવનાનું અદ્ભૂત ઉદાહરણ છે જેનાથી કોરોના વાઈરસ સામેના જંગમાં આપણો દેશ એક રહ્યો છે.’