બ્રિટનમાં રહેતા અને પોતાની જાતને સભ્ય, સુશિક્ષીત, સુધરેલા અને સન્માનનીય ગણાવતા કેટલાક ખાનદાન પરિવારના ગુજરાતી યુવાનો ભારતથી પરણીને લવાયેલ પત્નીની મારઝુડ કરી માનસિક શારીરિક ત્રાસ આપી આર્થિક શોષણ કરતા હોવાની ખૂબ જ ગંભીર માહિતી બહાર આવી છે. આશ્ચર્ય સાથે આઘાતની વાત એ છે કે ભોગ બનેલ યુવતીઅો બધીય તકલીફોને એમ માનીને સહન કરી રહી છે કે 'ચાલો, કાલે સારા દિવસો આવશે અને પતિ તેમજ સાસરીયા સાથે સંબંધો સુધરી જશે અને બધુ હેમખેમ થઇને રહેશે.' તો કેટલીક યુવતીઅો એમ માને છે કે 'જો પોલીસ કે અન્ય સરકારી તંત્રને ફરિયાદ કરશે તો તેમને બ્રિટન છોડી દેવું પડશે અને માતા-પિતાની આબરૂ ધૂળધાણી જેવી થઇ જશે.'
માની ન શકાય પણ હજુ આજે પણ બ્રિટન જેવા દેશમાં અને તે પણ લંડનમાં આવા ગંભીર બનાવો બને છે અને તે સાંભળીને માથુ શરમથી ઝુકી જાય છે. આપણી સામાજીક, ધાર્મિક કે મહિલા કલ્યાણનું કામ કરતી સંસ્થાઅો સમક્ષ આવા બનાવો અંગેની ફરિયાદો આવે છે કે તેની જાણ નથી. જો તેમની સમક્ષ આવી ફરિયાદો આવતી હોય તો તેમણે તેના પર પ્રકાશ પાડવો જ જોઇએ. હેરો એન્ડ વિલ્ડસ્ટનના સેનક્રોફ્ટ રોડ ખાતે આવેલ 'સંગત સેન્ટર'ના શ્રી કાંતિભાઇ નાગડા સમક્ષ વિતેલા બે માસના ટૂંકા ગાળામાં એક બે નહિં પણ ચાર કરતા વધારે યુવતીઅોએ પોતાના પતિ અને સાસરીયા દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ ઉપરાંત આર્થિક શોષણ થતું હોવાની ફરિયાદો કરી હતી. આ યુવતીઅો હાલને તબક્કે તો સંગત સેન્ટરની મદદ માંગી કાયદેસર કાર્યવાહી કરી રહી છે. ત્રાસનો ભોગ બનેલી યુવતીઅોના નામ અને સરનામા કાનૂની કાર્યવાહીને લક્ષમાં રાખીને છુપાવાયા છે. પરંતુ જે હકીકત રજૂ કરાઇ છે તે સંપૂર્ણપણ સત્ય છે.
* પ્રથમ બનાવમાં ભોગ બનનાર યુવતી વર્ષ ૨૦૦૯માં ભારતથી બ્રિટીશ પાસપોર્ટ ધરાવતા યુવક સાથે પરણીને આવી હતી. આ યુવતી તેના સાસુ-સસરા અને દિયર-દેરાણી સાથે રહે છે અને નોકરી કરે છે. આ યુવતીની કમનસીબી એ છે કે તે ઉમંગ-ઉલ્લાસ સાથે પરણીને આવી હોવા છતાં તેને પતિ તરફથી કોઇ જ સાંસારિક સુખ મળતું નથી. હદ તો એ છે કે ભોગ બનનાર યુવતીએ પતિથી દુર રહી રોજ લીવીંગ રૂમમાં સુવુ પડે છે. જ્યારે પરિવારમાં રહેતા તમામ સદસ્યો પોતાના બેડરૂમમાં સુઇ જાય છે. આટલું જ નહિં આ યુવતીએ પરિવારના બધા લોકો ટીવી જોઇ રહે પછી જ તે લીવીંગ રૂમમાં સુવા જવાનું. આ બધી તકલીફો ઉપરાંત યુવતી માટે સૌથી મોટી અન્ય તકલીફ એ છે કે તે નોકરી કરવા તો જાય છે પણ કમાણીની તમામ રકમ પતિના હાથમાં આપી દેવી પડે છે. પતિ-પત્ની બન્નેએ મરજીથી લગ્ન કર્યા હોવા છતાં તેને આ બધી તકલીફો સહન કરવી પડે છે.
* બીજા બનાવમાં ભારતથી જ ત્રણ વર્ષ પૂર્વે પરણીને આવેલી યુવતીનો પતિ દારૂ અને ડ્રગ્સનો ખૂબ જ નશો કરે છે અને દરરોજ પત્નીને ગાળો ભાંડે છે. આ યુવતીને તેના પતિએ કેટલીય વખત મારઝૂડ કરી છે. રોજે રોજ તકલીફો અને મુશ્કેલીઅોનો સામનો કરતી આ યુવતીને સાફસાફ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે તેને એક જ શરતે ઘરમાં રાખવામાં આવશે છે કે 'તેણે કમાણીની અડધી રકમ પતિને આપી દેવાની રહેશે અને તેણે યુકેમાં રહેતી પોતાની બેન અને ભારતમાં રહેતી માતા સાથે કોઇ જ જાતનો સંબંધ કે વાતચીત કરવાની નહિં.'
* ત્રીજા બનાવમાં પતિ-પત્ની બન્ને ભારતથી આવ્યા છે અને બન્ને અહીં લંડનમાં જ નોકરી કરે છે. આ કેસમાં પતિ તરફથી યુવતીને ખૂબજ ભયજનક રીતે મારઝુડ કરવામાં આવે છે. યુવતીને તેના પતિએ એક વખત તો એટલો જોરદાર માર માર્યો હતો કે યુવતીને લોહી પણ નીકળી ગયું હતું. આ ઘટનાની ખૂબજ ખરાબ વાસ્તવીકતાએ છે કે આ યુવતી નોકરી તો કરે છે પરંતુ તેણે પતિને પોતાના પગારની તમામ રકમ સોંપી દેવી પડે છે. જ્યારે પતિ તરફથી તેને મહિને માત્ર £૧૦ પોકેટ મની તરીકે આપવામાં આવે છે. બોલો રોજના ૩૦ પેન્સ કરતા પણ અોછી રકમમાં બીચારી આ યુવતી કઇ રીતે પોતાનું લંચ કે નાસ્તો લઇ શકતી હશે?
* ચોથા બનાવમાં ભોગ બનનાર યુવતીને તેના પતિ તરફથી માનસિક ત્રાસ આપી વારંવાર તેના ચરિત્ર વિષે મહેણાં ટોણાં મારવામાં આવે છે. પણ જો તે યુવતીને નોકરી પરથી ઘરે આવતા મોડું થાય તો તેનો પતિ 'તું તારા પ્રેમીને મળવા ઉભી રહી હતી? તું તો પ્રેમી સાથે ફોન પર વાત કરવા રહી હશે તેમાં તને મોડુ થયું' એમ કહી માનસિક ત્રાસ આપે છે. આ કેસમાં પણ નોકરી કરતી યુવતીએ ઉપર મુજબના અન્ય બનાવોની જેમ પતિને પગારની તમામ રકમ તો આપી જ દેવી પડે છે. ખરેખર તે યુવતીને કોઇ પ્રેમસંબંધ નથી અને આ બધા અનુભવો બાદ તો જાણે કે પુરુષ જાત સામે ધિક્કાર થઇ ગયો છે.
ઉપર જણાવેલા ચારેય બનાવ સંપુર્ણપણે સત્ય છે અને દરેક યુવતીને તેમના કહેવાતા સુશિક્ષિત, સજ્જન બ્રિટીશ (?) પતિ તરફથી સતત માનસીક અને શારીરિક ત્રાસ આપી આર્થિક શોષણ કરવામાં આવે છે.
સંગત સેન્ટરના શ્રી કાંતિભાઇ નાગડાએ જણાવ્યું હતું કે 'મોટાભાગના કેસમાં યુવતીઅો દ્વારા એટલા માટે ફરિયાદ કરાતી નથી કેમ કે તેમને લાગે છે કે જો પોલીસ ફરિયાદ કરશે તો તેમને પતિ કે સાસુ-સસરા ઘર બહાર કાઢી મૂકશે અને તેમની પાસે ભારત પરત જવા સીવાય કોઇ જ રસ્તો નહિં બચે. આટલું જ નહિં આ દેશમાં તેઅો કોને ત્યાં જઇને રહેશે? શું કરશે? શ્રી કાંતિભાઇએ આવા તમામ પ્રશ્નોનો ઉત્તર આપતાં જણાવ્યું હતું કે 'શારીરિક અને માનસીક ત્રાસ ઉપરાંત આર્થિક શોષણનો ભોગ બનતી આવી યુવતીઅોએ ડરવાની જરા પણ જરૂર નથી અને જો તેઅો આવા અત્યાચારો સહન કરતી રહેશે તો તેમને હંમેશ માટે ત્રાસ સહન કરવો પડશે. જરુર છે હિંમત કરીને ન્યાય મેળવવાની અને પોતાનું રક્ષણ કરવાની.'
શ્રી નાગડાએ જણાવ્યું હતું કે 'મારઝુડના કેસમાં જો ફરિયાદ કરાય તો સૌ પ્રથમ તો પોલીસ પતિ કે મારનાર સાસરીયાની ધરપકડ કરે છે. જો ઇજા ગંભીર ન હોય તો તેમને જામીન મળી શકે છે. પરંતુ સાથે સાથે કેસ પૂરવાર થાય તો તેમને બે વર્ષ સુધીને જેલ પણ થઇ શકે છે. આટલું જ નહિં તેમનો ક્રિમીનલ રેકોર્ડ પણ બની શકે છે. જે તેમને અમૂક નોકરી મેળવતા અટકાવી શકે છે. જે યુવતીઅો પોતાને રાઇટ નહિં મળે તેમ માનીને ડરે છે તેમણે પણ ડરવાની જરાય જરુર નથી. કેસ જો સાચો હોય તો હોમ અોફિસ પણ તેમને મદદ કરે છે અને અહિં રહેવાનો હક્ક આપે છે. જો યુવતી ભારતીય નાગરીક હોય તો ભારતીય હાઇ કમિશન પણ તેને મદદ કરે છે.
શ્રી નાગડાએ જણાવ્યું હતું કે આવા બનાવોમાં નીચે મુજબના પગલા લેવા જોઇએ.
૧. જો મારઝુડ કરવામાં આવે તો તુરંત જ પોલીસ બોલાવી મદદ મેળવવી જોઇએ અને તેમ શક્ય ન હોય ત્યારે જીપી પાસે જઇ સારવાર કરાવી તેમને જાણ કરવી જોઇએ. પોલીસ આવા કેસમાં પતિને ઘરમાં પ્રવેશતો અટકાવી શકે છે અથવા તો યુવતીથી દુર રહેવા તેને હુકમ કરે છે.
૨. જો સહન ન કરી શકાય તેવી તકલીફ હોય તો કોર્ટમાં કેસ કરી શકાય છે અને છૂટાછેડા પણ લઇ શકાય છે.
૩. અસહ્ય ત્રાસ હોય તો તમે પતિથી અલગ બીજે પણ રહી શકો છે. જો તમે બાળકની માતા હો તો બાળકનો કબ્જો પણ માતાને મળી શકે છે.
૪. સૌથી મહત્વની વાત એ છે કે ઘણી મહિલાઅો આર્થિક તકલીફનો વિચાર કરતી હોય છે, પરંતુ આવી મહિલાઅોને જેમને યુકેમાં રહેવાની છૂટ હોય તેઅો ખુમારીથી જીવી શકે તેટલા બેનીફીટ્સ સરકાર આપે છે. કદાચ રસ્તો અઘરો લાગે પણ રોજબરોજના ત્રાસ અને શોષણ સામે તે વધુ આસાન છે.
જે બહેનોને તેમના પતિ કે સાસરીયા તરફથી ત્રાસ અપાતો હોય અને તેમને ખાનગીમાં સલાહ કે મદદ જોઇતી હોય તો તેઅો સંગત સેન્ટરનો (28 Sancroft Road, Harrow HA3 7NS) ફોન નં. 020 8427 0659 ઉપર સંપર્ક કરી શકે છે. આપના નામ અને અન્ય તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવશે.