BAPS દ્વારા ‘પારિવારિક શાંતિ અભિયાન’ હાથ ધરાયું

Wednesday 27th April 2022 17:08 EDT
 
 

ગાંધીનગરઃ BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તાજેતરમાં સતત અઢી મહિના સુધી પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે એક વિશિષ્ટ સામાજિક અભિયાન ‘પારિવારિક શાંતિ અભિયાન -૨૦૨૨’ હાથ ધરવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત ઘરે ઘરે ફરીને પારિવારિક શાંતિ અને એકતાનો સંદેશ આપનારા બીએપીએસના એ હજારો નિસ્વાર્થ સ્વયંસેવકોને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં બિરદાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ‘પારિવારિક શાંતિ અભિયાન’ અંતર્ગત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો સંદેશો લાખો લોકો સુધી પહોંચાડીને શતાબ્દી સેવકોએ સમાજ સેવાનું ખૂબ જ સારું કાર્ય કર્યું છે. દરેક કાર્યો અને કાર્ય કરવાની પદ્ધતિ શ્રી પ્રમુખસ્વામી મહારાજના સંદેશા થકી આપણે સૌ શીખ્યા છીએ. આ અભિયાને, સમાજ ઉપર એક અનોખી છાપ છોડી છે. પારિવારિક શાંતિ અભિયાન એ સુખી રાષ્ટ્રના નિર્માણમાં મહત્વનું કદમ પણ છે.
તેમણે કહ્યું હતું કે આ અભિયાન થકી જે સ્વયંસેવકોએ ૨૦ લાખથી વધુ લોકોને સુખ - શાંતિનો સંદેશ આપ્યો છે. જેના થકી આવનારા સમયમાં ગુજરાત અને દેશને ઘણો મોટો ફાયદો પણ થવાનો છે.
72 હજારથી વધુ સ્વંયસેવકો દ્વારા 17થી વધુ રાજ્યો સંદેશો પહોંચાડાયો
આ પ્રસંગે બ્રહ્મવિહારીસ્વામીએ જણાવ્યું હતું કે, અભિયાન અંતર્ગત 72 હજારથી વધુ સ્વયંસેવકોએ 17થી વધુ રાજ્યોના 10012 જેટલા શહેર અને ગામડાંની મુલાકાત લઇને ઘરેઘરે જઈને પરિવારિક શાંતિ અભિયાનનો સંદેશ પહોંચાડ્યો છે.
તેમણે કહ્યું હતું કે આ અભિયાન અહીં અટકવાનું નથી, આવનારા સમયમાં 30 હજારથી વધુ બાળકો 30 લાખથી વધુ લોકોનો સંપર્ક કરવાના છે. આ સંપર્ક થકી વ્યસનમુક્તિ, વીજળી બચાવો તેમજ વધુમાં વધુ વૃક્ષો વાવવાની સમજ લોકો સુધી પહોંચાડવામાં આવશે.
આ અવસરે પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય ઇશ્વરચરણ સ્વામી, પુજ્ય યજ્ઞપ્રિય સ્વામી તેમજ સંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter