BAPSના 30,000થી વધુ યુવાનો ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’માં જોડાયા

Tuesday 04th August 2026 09:03 EDT
 
 

દેશના યુવાનોને વ્યસનમુક્ત કરી સકારાત્મક સામાજિક પરિવર્તનના પ્રહરી બનાવવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2 ઓગસ્ટે ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’નો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. MY Bharat સ્વયંસેવકો, NSS સ્વયંસેવકો, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ અને 125થી વધુ આધ્યાત્મિક સંસ્થાઓ સહિત દેશભરના હજારો યુવાનોએ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો.

સમગ્ર ભારતમાંથી BAPS સંસ્થાના વિવિધ ૬૦થી વધુ સેન્ટરોમાં આવેલ ૩૦,૦૦૦થી અધિક યુવાનો અને યુવતીઓ આ અભિયાનમાં સહભાગી બન્યા હતા. BAPS સંસ્થા દ્વારા તમામ સેન્ટરો પર યુવાનો માટે વિશેષ સભાઓનું આયોજન કરાયું હતું. જેમાં યુવાનોએ ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ ની ઓનલાઈન પ્રતિજ્ઞા લઈને આ ઝુંબેશ માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

આ પ્રસંગે BAPS સંસ્થાના આંતરરાષ્ટ્રીય કન્વીનર સંત પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ યુવાનોને પ્રેરણાદાયક સંદેશો પાઠવતા જણાવ્યું હતું કે, ‘ભગવાન સ્વામિનારાયણે એમના આશ્રિતોને વ્યસનમુક્ત રહેવાનો આદેશ આપેલો છે. જે વ્યસનમુક્ત હોય એ જ સાચો સત્સંગી બને છે.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ અભિયાન માટે યુવાનોને પ્રેરણા આપી રહ્યા છે, તેથી દરેકે ઉત્સાહ અને પ્રેમ સાથે આગળ આવવું જોઈએ.

છેલ્લા ઘણા દાયકાઓથી, BAPS સંસ્થા વ્યસનમુક્તિ અને તેના ફાયદાઓ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે પ્રયત્નશીલ છે. આજે, વર્તમાનમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ, તેમના દર્શન અને પવિત્ર જીવનથી પ્રેરિત થઈને, અસંખ્ય લોકોએ તેમના જીવનને સુધારવા માટે વ્યસનમુક્ત જીવન અપનાવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter