પ્રેસ્ટનઃ ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) ટેમ્પલમાં રાધાકૃષ્ણ મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠાની 50મી વર્ષગાંઠ અને રામ દરબારની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠાની 25મી વર્ષગાંઠ તેમજ નવા સેન્ટર/ હેતુનિર્મિત મંદિરના ઉદ્ઘાટનની ઊજવણીઓની તૈયારી સંદર્ભે રાત્રિભોજ (ડિનર)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મનોરંજન, સ્વાગત અને સેન્ટરના ઈતિહાસની રજૂઆતના કાર્યક્રમમાં સામેલ થવા કાઉન્સિલર્સ અને બિઝનેસ અગ્રણીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવોમાં સાઉથ રિબલના મેયર કાઉન્સિલર પૌલ હાર્ડમેન, લેન્કેશાયર કાઉન્ટી કાઉન્સિલના ચેરમેન કાઉન્સિલર આલ્ફ ક્લેમ્પસન, લેન્કેશાયરના પોલીસ કમિશનર ક્લાઈવ ગ્રુન્શો અને લેન્કેશાયરના લોર્ડ લેફ્ટનન્ટના પ્રતિનિધિ ડેપ્યુટી લેફ્ટનન્ટ એન્ડ્રયુ વિલ્સનનો સમાવેશ થયો હતો.
GHSના પ્રેસિડેન્ટ દશરથભાઈ નાયીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને નાની બાળાઓએ તમામ મહાનુભાવોને પુષ્પહાર પહેરાવ્યાં હતાં. પ્રાર્થનાનૃત્ય પછી સ્વાગત ગીત સાથે સાંધ્ય કાર્યક્રમનો આરંભ કરાયો હતો. આ પછી, મહાનુભાવોએ સંબોધનો કર્યા હતા. ઉપસ્થિત 150 મહેમાનોને સાંજના 6.45 કલાકે ડિનર પીરસાયું હતું.
ડિનર પછી સંસ્થાના વાઈસ પ્રેસિડેન્ટ ઈશ્વરભાઈ ટેઈલરે સોસાયટીની પશ્ચાદભૂ અને યાત્રા વિશે જણાવ્યું હતું. તેમણે પૂજ્ય ભાઈશ્રી દ્વારા આગામી કથાના આયોજન ઉપરાંત, રવિવાર 31 ઓગસ્ટના રોજ પ્રેસ્ટન સિટી સેન્ટરથી યોજાનારી રથયાત્રા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઈવેન્ટને ભારે સફળતા મળી હતી અને ઉપસ્થિત લોકોએ સાંજને બરાબર માણી હતી.