ક્રાઉલીઃ ગુર્જર હિન્દુ યુનિયન (GHU) ના ઉપક્રમે વેસ્ટ સસેક્સના ક્રાઉલી ખાતે 25 મેથી 31 મે 2025 દરમિયાન ભાઈશ્રી રમેશભાઈની વ્યાસપીઠે શ્રીમદ્ ભાગવતકથા યોજાઈ હતી. પૂજ્ય ભાઈશ્રીની વ્યાસપીઠે આયોજિત ભાગવત સપ્તાહના આધ્યાત્મિક ઉપદેશોનો દરરોજ 2000 અને સંપૂર્ણ સપ્તાહમાં અંદાજે 14,000 જેટલા ભાવિકોએ લાભ લીધો હતો.
ક્રાઉલીના એપલ ટ્રી સેન્ટરના ગુર્જર હિન્દુ યુનિયન ટેમ્પલ ખાતે યોજાએલી ભાગવત કથાએ તેમાં ઉપસ્થિત રહેનારા તમામ લોકોને પરિવર્તનકારી આધ્યાત્મિક અનુભવનો લહાવો પૂરો પાડ્યો હતો. પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈના ઊંડા જ્ઞાન અને મંત્રમુગ્ધ કરી દેનારા વાણીપ્રવાહે ઓડિયન્સને બાંધી રાખ્યું હતું અને સમર્પણ, મનન અને સામૂહિક ઉત્થાનનું પવિત્ર વાતાવરણ રચ્યું હતું.
આ વર્ષની ભાગવતકથાનું સંપૂર્ણ ધ્યાન સમગ્રતયા આરોગ્ય, વ્યક્તિગત સ્વાસ્થ્ય તેમજ કોમ્યુનિટીની અંદર સર્જાતી એકલતાના પડકારોનો સક્રિયતાથી સામનો કરવા પર કેન્દ્રિત કરાયું હતું. ભાગવત પુરાણના અનંતકાલીન જ્ઞાન થકી ઉપસ્થિત સત્સંગીઓને આંતરિક શાંતિ, કેળવવા, આરોગ્યપ્રદ જીવનશૈલીઓ અપનાવવા તેમજ પરિવાર અને સમુદાય સાથે તેમના સંબંધો મજબૂત બનાવવા પ્રેરિત કરાયા હતા. રોજ એકત્રિત થતા ભાવિકોની સંખ્યા એકલતા સામે શક્તિશાળી એન્ટિડોટ બની રહ્યું હતું તેમજ સહભાગી આધ્યાત્મિક વિકાસ અને પારસ્પરિક સહયોગનું વાતાવરણ રચાયું હતું.
ગુર્જર હિન્દુ યુનિયનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘આ વર્ષની ભાગવતકથાને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. દરરોજ સત્સંગીઓની વધતી સંખ્યા કોમ્યુનિટીની અંદર આધ્યાત્મિકતાની ભૂખ અને પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈના ઉપદેશોની પ્રચંડ અસર દર્શાવે છે. આ કથા થકી અમારા સભ્યોના આરોગ્ય, સ્વાસ્થ્ય અને સામાજિક સંવાદિતા, એકલતાનો સામનો કરવામાં મદદ તથા વધુ મજબૂત અને સંપર્ક ધરાવતી કોમ્યુનિટીના વિકાસની અમારી પ્રતિબદ્ધતા વધુ મજબૂત બની હોવાનું અમને ગૌરવ છે.’
હિન્દુ મૂલ્યો, સંસ્કૃતિ અને પરંપરાઓને આગળ વધારવા સતત કાર્યરત સામુદાયિક સંસ્થા ગુર્જર હિન્દુ યુનિયને અમૂલ્ય માર્ગદર્શન પુરું પાડવા બદલ પૂજ્ય ભાઈશ્રીનો, આ ઈવેન્ટને શક્ય બનાવવા સતત કાર્યરત રહેલા સ્વયંસેવકો અને ભાગવત સપ્તાહને સફળ બનાવવામાં સાથ અને સહકાર આપનારા તમામ લોકો પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો.