એસજીવીપી (સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યા પ્રતિષ્ઠાનમ્)ના વડા પૂ. સ્વામી માધવપ્રિયદાસજીએ લંડનમાં નિર્માણાધીન શ્રી કચ્છી લેવા પટેલ (SKLP) સમાજના ભવનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સમાજના પ્રમુખ માવજીભાઇ સહિત સમિતિના સભ્યોએ સ્વામીજીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. લંડનમાં SKLP સમાજનું વિશાળ પરિસર 18 એકરમાં ફેલાયેલું છે. જેમાં એક લાખ ચોરસ મીટરના વિશાળ સંકુલનું નિર્માણ થઇ રહ્યું છે. જેમાં વિશાળ સભાખંડ, વિશાળ કિચન અને ભોજનખંડ, ઇન્ડોર ગેમ્સ, આવાસ અને ગુજરાતી માધ્યમની શાળા સહિતની સુવિધા ઉપલબ્ધ હશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 25 મિલિયન પાઉન્ટ (આશરે રૂ. 250 કરોડ) છે. કચ્છના સમર્પિત સેવાભાવી ભાઇઓ-બહેનો આ ભવ્ય નિર્માણ માટે તન-મન-ધનતી સહયોગ આપી રહ્યા છે. આ શાનદાર પ્રોજેક્ટને સાકાર કરવા માટે સહુ કોઇ દ્વારા ઉઠાવાઇ રહેલી જહેમત પ્રશંસનીય છે.


