અનુપમ મિશન ડેનહામમાં સાહેબદાદાના સાંનિધ્યમાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી

Friday 31st July 2026 06:24 EDT
 
 

અનુપમ મિશન - ડેનહામ ખાતે પરમ પૂજ્ય સંત ભગવંત સાહેબદાદાની નિશ્રામાં ગુરુપૂર્ણિમા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. પ્રારંભે શ્રી ઠાકોરજી મહારાજ, સંત ભગવંત સાહેબદાદા, સદગુરુ અશ્વિનદાદા તથા પૂજ્ય સાધુ હિંમતદાસજીનું પૂજન અને પુષ્પહાર અર્પણ કરીને ગુરુવંદના કરાઇ હતી.
આ પ્રસંગે સતીશભાઈ ચતવાણીએ પ્રાસંગિક સંબોધનમાં કહ્યું હતું કે મહાપુરુષો દ્વારા મંદિર, ક્રેમેટોરિયમ, કેન્ટીન જેવા અશક્ય લાગતા પ્રોજેક્ટ્સ ભૌતિક નિર્માણ માટે નહીં, પણ ભક્તોના હૃદયમાં અડગ શ્રદ્ધા, સમર્પણ, ભગવાન સર્વ કર્તાહર્તા છે તેવો દૃઢ વિશ્વાસ પ્રગટાવવા હાથ ધરાય છે. ગુરુકૃપાથી અજ્ઞાનનો અંધકાર દૂર થઈ દિવ્ય જ્ઞાનનો પ્રકાશ પ્રસરે છે ને ભગવાનની અવિરત રક્ષાનો અનુભવ થાય છે.
સદગુરુ અશ્વિનદાદાએ આશીર્વચન આપતાં જણાવ્યું કે યોગીજી મહારાજે યોગી ગીતામાં પોતાના ગુરુ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં કરેલી પ્રાર્થના માત્ર ગુરુપૂર્ણિમા પૂરતી મર્યાદિત નથી, પરંતુ વર્ષના 365 દિવસ સાધકના જીવનનો આધાર બનવી જોઈએ. ગુરુને દિવ્ય માનવાની સાથે તેમના સંબંધમાં આવેલા દરેક સંત અને હરિભક્તને પણ નિર્દોષ અને દિવ્યભાવથી જોવું એ સાચી ગુરુભક્તિ છે. મનુષ્યભાવથી ઉપર ઊઠીને દિવ્યભાવમાં સ્થિર થનાર સાધક જ ગુરુકૃપાનો સાચો અનુભવ કરી શકે છે.
અંતમાં સંત ભગવંત સાહેબદાદાએ આશીર્વચન આપતાં જણાવ્યું કે સનાતન હિન્દુ ધર્મમાં ગુરુ અને ગુરુપૂર્ણિમાનો મહિમા અતિ વિશિષ્ટ છે. ભગવાનને ઓળખવા અને તેમની ઇચ્છા મુજબ જીવન જીવવાનો સાચો માર્ગ ગુરુ જ બતાવે છે. ભગવાન અને ગુરુ આપણી સેવા - સમર્પણ - ભક્તિના આધારે જીવનમાંથી દુઃખદાયક સંસ્કારો તથા પ્રારબ્ધને દૂર કરીને આંતરિક દિવ્યતા પ્રગટાવે છે. તેથી જીવનમાં સાચા સંત અને ગુરુનો યોગ, તેમની સાથે આત્મબુદ્ધિ અને અખંડ પ્રીતિ જાળવવી આધ્યાત્મિક જીવનનું મોટું સૌભાગ્ય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter