અબુધાબીમાં હિન્દુ મંદિર - BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરની ‘પ્રથમ શિલા સ્થાપન સપ્તાહનો’ મંગળવારે પ્રારંભ થયો હતો. તેમાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, અબુધાબી સ્થિત બીએપીએસ મંદિરના સીઈઓ અશોક કોટેચા અને શાયોના જૂથના ચેરમેન સુરેશ પટેલ સહિતના સંખ્યાબંધ મહાનુભાવોએ ભાગ લીધો હતો.
અબુધાબીમાં આકાર લેનારા આ ઐતિહાસિક મંદિરના નિર્માણ માટે ૧૭ શિલ્પકારોની ટીમ કાર્યરત છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત બ્રહ્મવિહારીદાસજીએ જણાવ્યું હતું કે આગામી કેટલાક દિવસોમાં લોકો મંદિરની દરેક શિલા પર બારીક નક્શીકામ તેમજ વૈશ્વિક મૂલ્યોની પ્રતિકૃતિને આકાર લેતી જોઈ શકશે. તેમણે ઉમેર્યું કે, શિલાઓમાં આકાર લેતી આ દરેક કથા હંમેશ માટે માનવ સંવાદિતાના મૂલ્યોની ગાથા વર્ણવતી રહેશે.
આ મંદિરના નિર્માણ માટેની નકશીકામ કરેલી શિલાઓ તૈયાર કરવા ૨૦૦૦થી વધુ કારીગરો ભારતમાં કામ કરી રહ્યા છે અને તેને ત્યાંથી તૈયાર કરીને મંદિરના સ્થળે લાવીને એસેમ્બલ કરવામાં આવશે. આ મંદિર સ્થાપત્ય કળાનું તેના પ્રકારનું એક માત્ર અનોખું અને પ્રથમ એવું મંદિર બની રહેશે. ત્યાં ૩૦૦થી વધુ સેન્સર ગોઠવવામાં આવશે જે આગામી ૫૦ વર્ષ સુધી ભૂસ્તરીય હિલચાલ, તાપમાન, દબાણ સહિતના માપદંડોનું સતત મોનિટરીંગ કરશે.