આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું યુકેમાં વિચરણ

Wednesday 12th January 2022 04:56 EST
 
 

પ. પૂ. આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય તરીકે વિદેશમાં તેમના પ્રથમ વિચરણનો પ્રારંભ કરવા શનિવાર ૨૦ નવેમ્બર ૨૦૨૧ના રોજ યુકે પધાર્યા હતા. જુલાઈ ૨૦૨૦માં પ.પૂ. શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના અક્ષરધામગમન બાદ આચાર્ય સ્વામીજી મહારાજને શ્રી સ્વામિનારાયણ ગાદી સિંહાસન પર આરૂઢ થયાને લગભગ ૫૦૦ દિવસ થયા છે.
વૈશ્વિક મહામારીના વાતાવરણને જોતાં, તેમની યુકેની આ મુલાકાત સંપ્રદાયના વૈશ્વિક વડા તરીકે તેમના કાર્યકાળની આ પ્રથમ મુલાકાત હતી. શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડે દસ સંતોના મંડળ સાથે લંડન હીથરો એરપોર્ટ પર આવી પહોંચેલા આચાર્ય સ્વામીજી મહારાજનું સ્વાગત કર્યું હતું. અલબત્ત, યુ.કે.માં રહેતા શ્રી સ્વામિનારાયણ ગાદીના શિષ્યો તેમના આગમન માટે ઉત્સુક હતા, પરંતુ આચાર્ય સ્વામીજી મહારાજ પાસે તેમની મુલાકાતના બે મુખ્ય હેતુ હતા.
એક તો આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની દિવ્ય અસ્થિઓનું વિશ્વભરના વિવિધ સ્થળોએ વિસર્જનના ભાગરૂપે અસ્થિ સુમન વિસર્જન યાત્રામાં યુકેનો સમાવેશ કરવાનો હતો. બીજું જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ વિશ્વ સમક્ષ શ્રી સ્વામિનારાયણ ગાદીનું અનાવરણ કર્યું તેના સપ્ટેમ્બર ૨૦૨૨માં ૫૦ વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે યોજાનારા શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ વિશે પ્રચાર – પ્રસાર કરવાનો હતો.
યુ.કે.ની તેમની ટૂંકી મુલાકાત દરમિયાન, આચાર્ય સ્વામીજી મહારાજે લંડનમાં શ્રી સ્વામિનારાયણ મંદિરો અને બોલ્ટન, ગ્રેટર માન્ચેસ્ટર ખાતે નિવાસ કર્યો હતો. ડઝનબંધ શાસ્ત્રોના પાઠ કર્યા હતા અને ઘણાં શિષ્યોના નિવાસસ્થાનો અને વ્યવસાયિક સ્થળોની મુલાકાત લીધી હતી. સેંકડો અનુયાયીઓની ઉપસ્થિતિમાં સંસ્થા માટે નોંધપાત્ર ઐતિહાસિક મહત્વના સ્થાનો લેક વિન્ડરમેર અને રિચમન્ડમાં અસ્થિ સુમન વિસર્જન વિધિ યોજાયો હતો.
૧૯૭૯માં શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય, જીવનપ્રાણ સ્વામીબાપાએ જે દિવસે અક્ષરધામગમન કર્યું હતું તે જ દિવસે, તેમણે ઉત્તર ઇંગ્લેન્ડમાં લેક ડિસ્ટ્રિક્ટમાં લેક વિન્ડરમેરની મુલાકાત લીધી હતી. ત્યારથી, આ વિસ્તાર જીવનપ્રાણ સ્વામીબાપાના અનુયાયીઓ માટે તીર્થસ્થાન બની ગયો છે.
યુ.કે.ની આ મુલાકાત દરમિયાન જ જીવનપ્રાણ સ્વામીબાપાએ સાઉથ - વેસ્ટ લંડનના રિચમન્ડના સબ અર્બન ડિસ્ટ્રિક્ટ હેમની મુલાકાત લીધી હતી અને તેથી અક્ષરધામ પરત ફર્યાના થોડા સમય પછી, તેમના શિષ્યોએ હેમ દ્વારા થેમ્સ નદીમાં તેમના અસ્થિનું વિસર્જન કર્યું હતું.
વેદ રત્ન આચાર્ય સ્વામીશ્રી મહારાજના દિવ્ય અસ્થિઓનું વિસર્જન કરવાની વિધી ૨૭ નવેમ્બરે વિન્ડરમેરમાં અને ૪ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ રિચમન્ડમાં થઈ હતી. આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિય સ્વામીજી મહારાજ ૬ ડિસેમ્બરે ભારત પરત ફર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter