દિપાવલીના સપરમા દિવસો દરમિયાન ગત ૧૫ ઓકટોબર, શનિવારે આણંદ ઓવરસીજ બ્રધરહુડ-યુ.કે.ના ઉપક્રમે શ્રી સત્તાવીશ પાટીદાર સેન્ટરમાં દિવાળી આનંદ-મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૪૦૦થી વધુ આણંદના ભાઇ-બહેનો સહિત શ્રી સત્તાવીશ ગામ પાટીદાર સમાજના કેટલાક ગામોના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. સાંજે ૫.૦૦ વાગ્યાથી શરૂ થયેલ આ દિવાળી મિલન સમારોહમાં આણંદના સૌથી વયોવૃધ્ધ માતૃશક્તિ અને સૌથી યુવાન કુમારિકાના હસ્તે દિપ પ્રાગટ્ય કર્યા પછી વાઇસ પ્રેસિડેન્ટ જાગૃતિબહેન પટેલે ગણેશ વંદના કરી હતી. ત્યારબાદ સેક્રેટરી રશ્મિકા પટેલે સૌનું અભિવાદન કર્યું હતું.
સંસ્થાના પ્રેસિડેન્ટ કોકિલાબહેન પટેલે એમનું વક્તવ્ય રજૂ કરતાં પહેલાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ગામના સૌ વડીલો, સભ્યો તથા બહેન-દિકરીઓનો સહ્દય આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા સતત કાર્યરત રહેલા કમિટીના સૌ ઉત્સાહી સભ્યોનો ખૂબ આભાર પ્રગટ કર્યો હતો. આ સાથે આણંદના ગૌરવ સમા કેટલાક યુવાન સભ્યો હેતલ પટેલ, પીન્ટુન (જયેશ) પટેલ, આરા પટેલ, અનંતભાઇ પટેલ, યોગેશભાઇ પટેલ, પ્રવિણભાઇ કે. પટેલ તેમજ સંસ્થાને લાંબા સમયની સેવા અર્પણ કરનાર રોહિતભાઇ પટેલને શાલ અને ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સોશ્યલ સેક્રેટરી ઉર્વશીબહેન ગજ્જરે કર્યું હતું.