મોગરી સ્થિત અનુપમ મિશનમાં 22 માર્ચે સંતભગવંત સાહેબજીની નિશ્રામાં શાલીન માનવરત્ન સન્માન સમારોહ યોજાઇ ગયો. આ પ્રસંગે સંતભગવંત સાહેબજીએ તેમના સંબોધનમાં આધ્યાત્મિક્તાનું મહત્ત્વ સમજાવતા કહ્યું હતું કે આત્માના કલ્યાણ અને રક્ષા માટે પ્રભુનો આશરો અનિવાર્ય છે. અને પ્રભુના માહાત્મ્યને સમજવા સાધુ અનિવાર્ય છે.
આ પ્રસંગે મંદિરજીના પ્રાંગણમાં સાકાર થયેલા ભવ્ય સભા મંડપમાં ઉમંગ-ઉલ્લાસનો અનોખો માહોલ છવાયો હતો. સંતભગવંત સાહેબજીની ઉપસ્થિતિમાં ચારૂતર વિદ્યા મંડળના અધ્યક્ષ ભીખુભાઈ પટેલને શાલીન માનવરત્ન સન્માન અર્પણ કરવાના આ સમારોહનો પ્રારંભ સ્વાગત ભક્તિ સાથે થયો હતો. એક સુંદર સુશોભિત રથમાં ભીખુભાઈ બિરાજયા જ્યારે બીજા એવા જ કલાત્મક રથમાં સંતભગવંત સાહેબજી બિરાજ્યા હતા. મુખ્ય પથથી મંચ સુધી તેઓનું સ્વાગત વેમાર, વડોદરા અને અંકલેશ્વરની યુવતીઓએ સંગીત-નૃત્ય સાથે કર્યું હતું. મંદિરજીમાં શ્રી ઠાકોરજીના દર્શન કરી સૌ સભામાં પધાર્યા હતા. સૌ મંચસ્થ સંતો, મહાનુભાવોનું પૂજન, પુષ્પાર્પણ દ્વારા સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે કાનમ પ્રદેશના અગ્રણી અને નિષ્ઠાવાન અક્ષરમુકત ચંદ્રકાંતભાઈ પટેલે સ્વાગત પ્રવચન દ્વારા શાબ્દિક આવકાર આપ્યો.
બાદમાં શિક્ષણ મહર્ષિ શ્રીમાન ભીખુભાઈ પટેલનો પરિચય સાધુ પૂ. પીટરદાસજીએ અદભુત રીતે કરાવ્યો હતો. આવા સાલસ વ્યક્તિત્વને સદગુરુ સાધુ પૂ. અશ્વિનદાદાએ શાલ, પૂ. રતિકાકાએ ખેસ અને સંતભગવંત સાહેબજીએ ખૂબ ગૌરવ સાથે શાલીન માનવરત્ન સન્માનથી અલંકૃત કર્યા હતા.
આ પ્રસંગે ભીખુભાઇના ધર્મપત્ની શ્રીમતી સરોજબહેનને પણ તેઓના સમર્પણ બદલ બિરદાવાયા હતા. ભીખુભાઈ પટેલે ખૂબ વિનમ્રતાપૂર્વક આ સન્માનને સંતભગવંત સાહેબજીના આશીર્વાદ માની ધન્યતા વ્યક્ત કરી હતી. સંતભગવંત સાહેબજીના પ્રસન્નતાપૂર્ણ મુખારવિંદના દિવ્ય સંસ્પર્શને વાગોળી હૃદયભાવ રજૂ કર્યા હતા.
સમાજમાં રહીને સમાજના ઉત્થાનમાં સતત સવિશેષ કાર્ય કરતા વ્યક્તિત્વને બિરદાવવા તે પણ ભક્તિ છે તેમ જણાવી સદગુરુ સાધુ પૂ. અશ્વિનદાદાએ આ સમારોહનો મર્મ સમજાવ્યો હતો.
આ પ્રસંગે સંતભગવંત સાહેબજીએ ભીખુભાઈએ શાલીન માનવરત્ન સન્માન સ્વીકાર્યું તે બદલ આભારની લાગણી વ્યક્ત કરીને સહુ પર આશીર્વાદ વરસાવ્યા હતા. ભીખુભાઈની સાલસતાને વર્ણવતા તેમને આધ્યાત્મિક સંસ્કાર અને શિક્ષણના સમન્વય સમાન વ્યક્તિવિશેષ ગણાવ્યા હતા.
સંતભગવંત સાહેબજીએ કહ્યું હતું કે આત્માના કલ્યાણ અને રક્ષા માટે પ્રભુનો આશરો અનિવાર્ય છે. પ્રભુના માહાત્મ્યને સમજવા સાધુ અનિવાર્ય છે. સાધુના સંગે આત્માને બળ મળે છે. આવા સાધુ સાથે જીવ જોડીને ભક્તિમાર્ગે પ્રવૃત્ત રહેવા સમજણ આપી હતી.
આ પ્રસંગે ચારૂતર વિદ્યામંડળ, અનુપમ મિશનના દેશ-વિદેશના મંડળોના ભક્તો અને વેમાર તથા આસપાસના બાર ગામના મુક્તોએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમ માણ્યો. સંતોનું સાંનિધ્ય, સંતભગવંત સાહેબજીના આશીર્વાદ અને પ્રભુની કૃપાના આનંદને હૈયે ધરી સૌએ ધન્યતા અનુભવી હતી.


