૧૫ ઓગસ્ટને રવિવારે ભારતના ૭૫મા સ્વાતંત્ર્ય દિને અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામીનારાયણ મંદિર કુમકુમ ખાતે સદગુરુ શાસ્ત્રી આનંદ પ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી સ્વામીનારાયણ ભગવાનને તિરંગાના ભવ્ય શણગાર સજવામાં આવ્યા હતા અને ત્યારબાદ આરતી ઉતારવામાં આવી હતી.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલ દાસજીએ જણાવ્યું હતું કે, આજે આપણે દેશને આઝાદી અપાવનાર પૂ. ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહ એ સૌને યાદ કરવા જોઈએ અને તેમના જીવનમાંથી પ્રેરણા લઈને દેશની સેવા કરવા માટે આગળ આવવું જોઈએ.
આપણા દેશમાંથી આંતકવાદ નાશ પામે અને દેશનો સર્વાંગી વિકાસ થાય તે માટે આપણે સૌ કોઈએ આપણું તન, મન અને ધન દેશને સમર્પિત કરવું જોઈએ. તેમણે ઉમેર્યું કે આપણા દેશમાં પ્રવર્તમાન ભ્રષ્ટાચાર, દુષ્કર્મ આદિ દૂષણોને દૂર કરવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. આપણે વ્યસનોથી મુક્ત બનવું જોઈએ અને બીજાને વ્યસનથી મુક્ત બનાવવા જોઈએ.
આપણે સૌ શ્રી સ્વામીનારાયણ ભગવાનના ચરણ કમળમાં પ્રાર્થના કરીએ કે, કોરોના વાઈરસની સંભવિત ત્રીજી લહેરથી દરેક ભારતીય નાગરિકોની રક્ષા કરે.