લંડનઃ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગર - અમદાવાદના સંતો હાલ યુરોપમાં સત્સંગ પ્રચાર અર્થે પધાર્યા છે. લંડનના રિચમન્ડ ખાતે શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને કુમકુમ મંદિરના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અસ્થિ વિસર્જન આ ભૂમિ ઉપર કરાયા હોવાથી અહીંયા વૃક્ષારોપણ કરીને જનહિતાર્થ છે બેન્ચ મૂકવામાં આવી છે.
આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો હરિભક્તો પધાર્યા હતા અને વૃક્ષો અને બેન્ચનું પૂજન અર્ચન કરી આરતી ઉતારી હતી. ત્યારબાદ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ભગવાન કે ભગવાનના સંત જે ભૂમિ ઉપર વિચરણ કરે છે તે ભૂમિ પાવનકારી બની જાય છે. એ ભૂમિ ઉપર જે જાય છે અને તેના દર્શન કરે છે તેના મનમાં દિવ્ય અલૌકિક શાંતિની અનુભૂતિ થાય છે અને શ્રી સ્વામિનારાયણ ભગવાનની સ્મૃતિ થઈ આવે છે. તેથી જ્યાં જ્યાં ભગવાન અને ભગવાનના સાચા સંતોએ વિચરણ કર્યું હોય તેવા સ્થળોએ અવશ્ય દર્શન કરવા જવું જોઈએ. આજે સૌના માટે આનંદની એ વાત છે કે, આ સ્થળ ઉપર વૃક્ષ અને બેન્ચ સ્થાપિત કરવાથી આ પ્રસાદીની જગ્યા ઉપર અનેક ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવશે અને જે દર્શન કરશે તેમના જીવનું પણ કલ્યાણ થશે. આ પાવનકારી ભૂમિ ઉપર અંતમાં સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરી સૌને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.