બર્મિંગહામમાં આવેલા ગુજરાતી હિન્દુ સત્સંગ મંડળ દ્વારા આ વર્ષે મહાશિવરાત્રી પર્વે - સંભવતઃ યુકેમાં પ્રથમ વખત - 1008 કમળફૂલો વડે વિશેષ શિવપૂજા કરાઇ હતી. પૂજા માટેના કમળ ખાસ ભારતથી મંગાવાયા હતા. આ મંદિરે મહાશિવરાત્રી જેવા પવિત્ર પ્રસંગે વિશેષ પૂજા, રુદ્રાભિષેક, નામજાપની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે. ભક્તજનોની શ્રદ્ધા અને સમર્પણથી મંદિરનું વાતાવરણ દિવ્ય બની ગયું હતું. શ્રદ્ધાળુઓ કહે છે કે અહીં જોવા મળતી ભક્તિ, સંસ્કાર અને વૈદિક પરંપરાના પ્રેરણાસ્ત્રોત નરેન્દ્ર પંડ્યા મહારાજ છે. તેઓ ધર્મપ્રચાર, સંસ્કૃતિ જાગૃતિ અને સમાજસેવામાં સતત સમર્પિત રહ્યા છે. તેમના માર્ગદર્શનમાં ધર્મ, કરુણા અને સેવાનો સતત પ્રચાર-પ્રસાર થઇ રહ્યો છે.


