લંડનઃ સમગ્ર બ્રિટનમાં વૈશાખીનો ઉત્સવ લોકપ્રિયતા મેળવી રહ્યો છે. ખાલસા પંથના અને ભારતના ઘણા વિસ્તારોમાં નૂતન વર્ષના આરંભ આરંભને માણવાનો આ સમય છે. હરિયાળા એસેક્સમાં ચિગવેલ ગામે બહુધાર્મિક ઓડિયન્સને વૈશાખી, અરડાસનો અર્થ સમજવામાં ભારે આનંદ આવ્યો હતો. 150થી વધુ લોકોએ પંજાબી સંસ્કૃતિ અને ઉજવણીના પ્રસંગે રંગબેરંગી વસ્ત્રો, વીરસા પંજાબ દ્વારા ભાંગડા નૃત્યો અને જાસ ભાકર દ્વારા પંજાબી લોકગીતોની રમઝટને માણી હતી.
શીખ કેલેન્ડરમાં સૌથી મોટા ઉત્સવોમાં એકના ઈવેન્ટને યાદ રાખવા ચિગવેલ દિવાળી કમિટી દ્વારા વૈશાખીનું આયોજન કરાયું હતું. ચિગવેલ વૈશાખી કમિટીના રવિ ભનોતે જણાવ્યું હતું કે,‘વૈશાખી માટે લોકોનો ઉત્સાહ અદ્ભૂત રહ્યો હતો. આવા ઈવેન્ટ માટે આટલી મોટી સંખ્યામાં ઓડિયન્સ કદી આવ્યું ન હતું. અન્ય સંસ્કૃતિઓની માફક પંજાબી સંસ્કૃતિ પણ સતત આગળ વધે તે મહત્ત્વનું છે અને આવા ઈવેન્ટ્સ તે શક્ય બનાવે છે. કાઉન્સિલો પણ બહુસાંસ્કૃતિક ઈવેન્ટ્સ પ્રત્યે ઉદારદિલ છે તે આનંદની બાબત છે.’
એપ્પિંગ કાઉન્સિલના સૌપ્રથમ ભારતીય અને પંજાબી અધ્યક્ષ કાઉન્સિલર દર્શન સાંગેરન દ્વારા ચિગવેલમાં વૈશાખી લાઈટ્સની સ્વિચ પાડવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, ‘ચિગવેલે ક્રિસમસ,હન્નાકાહ, દિવાળી અને ઈદ પ્રસંગે લાઈટ્સની રોશનીને પ્રગટતી નિહાળી છે ત્યારે વૈશાખીએ લાઈટ્સ પ્રગટવાનો આનંદ છે.’