અમદાવાદઃ ચૈત્ર સુદ નોમ એટલે અધર્મ પર ધર્મના વિજયનું પર્વ અને પરબ્રહ્મ પરમાત્માના ધરા પર અવતરણનો મંગલકારી દિવસ. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય પ્રાગટ્યના આ અવસરને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ-મેમનગર ખાતે અત્યંત ધામધૂમ અને ભક્તિસભર માહોલમાં ઉજવાયો હતો. આ પ્રસંગે 19 થી 29 માર્ચ ‘ચૈત્રી કથામૃત’ મહોત્સવે હજારો ભક્તોના હૃદયમાં ભક્તિની સરવાણી વહેવડાવી હતી.
દસ દિવસીય મહોત્સવમાં પ.પૂ. ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ પોતાની અમૃતવાણી દ્વારા સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી વિરચિત ‘સારસિદ્ધિ’ ગ્રંથના આધારે શ્રોતાઓને ભાવવિભોર કર્યા હતા. સ્વામીજીએ આધ્યાત્મિકતા અને જીવનના સાર્વત્રિક સત્યોને વણી લઈને ભક્તોને હરિરસમાં તરબોળ કર્યા હતા. રામનવમીના પાવન દિવસે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ભગવાન શ્રી નીલકંઠવર્ણી પર કેસર મિશ્રિત દૂધની ધારા સાથે દિવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો. સિંહાસન પર બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનું 151 જેટલા યજમાનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ભવ્ય રાજોપચાર પૂજન કરાયું હતું. વિવિધ પ્રકારના નૈવેદ્ય અને ઉપહારો અર્પણ કરી ભક્તોએ કૃતાર્થતા અનુભવી હતી.
બપોરે ‘ભય પ્રગટ કૃપાલા દીનદયાલા’ના નાદ સાથે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની આરતી ઉતારવામાં આવી હતી. સંકીર્તન અને ભક્તિ સાથે સમગ્ર સભાખંડ રામમય બની ગયો હતો. તો રાત્રિના પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રાગટ્યોત્સવ અત્યંત દિવ્યતાથી ઉજવાયો હતો. ભગવાનના જન્મને વધાવવા માટે સંતો અને ભક્તોએ નૃત્ય, સંગીત અને રાસની રમઝટ બોલાવી હતી. પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ ભગવાનના અવતરણના હેતુ અને તેમના જીવન ચરિત્ર પર પ્રકાશ પાડ્યો હતો.
પૂજ્ય ગુરુવર્ય સ્વામીજીના આશીર્વચન બાદ જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું, ત્યારે સમગ્ર વાતાવરણ જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરી સૌના મન મોહી લીધા હતા. મહોત્સવના અંતે સૌ પંચાજીરીનો પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા.


