લંડનઃ સડબરીના જલારામ જ્યોત મંદિર દ્વારા 14 જૂન શનિવારે અમદાવાદની કરૂણ વિમાન દુર્ઘટનામાં પોતાના સ્નેહીજનોના પરિવારો તેમજ અન્ય તમામ આત્માઓની શાંતિ અર્થે પ્રાર્થનાસભાનું આયોજન કર્યું હતું. આ પ્રાર્થનાસભામાં NCGO (નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ), જલારામ જ્યોત મંદિરના ટ્રસ્ટીઓ, પૂજારીઓ, શ્રદ્ધાળુઓ તેમજ પોતાની સંવેદના વ્યક્ત કરવા ઈચ્છતા કોમ્યુનિટીના સભ્યો સહિત ઘણા લોકોએ હાજરી આપી હતી.
આ વિનાશક અકસ્માતમાં જલારામ જ્યોત મંદિરના પૂર્વ કર્મચારીઓ સહિત અન્ય જાન ગુમાવનારા લોકો સાથે મંદિરના ઘણા સંપર્કો હતા. ઘણા ભક્તોના પરિવારજનો અને મિત્રો પણ આ ફ્લાઈટમાં સવાર હતા. જે લોકોને દુર્ઘટનાથી અસર પહોંચી છે તેવા શોકાતુર લોકો અહીં આવે અને પ્રાર્થના કરી શાંતિ પ્રાપ્ત કરે તેમને સ્થળ પૂરું પાડવાનું કાર્ય સંસ્થા ચાલુ રાખશે અને આ મુશ્કેલ સમયમાં સંસ્થા તમામ અસરગ્રસ્તોની સાથે જ છે.