જુનાગઢ BAPS સ્વામીનારાયણ મંદિરના મહંત યોગી સ્વરૂપ સ્વામી બ્રહ્મલીન થયા છે. તે જાણીને હરિભક્તોમાં ઘેરો શોક છવાઈ ગયો હતો.
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના વરદ હસ્તે દીક્ષા લેનાર અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ તથા પ્રગટ ગુરુહરી પૂ.મહંતસ્વામી મહારાજના અતિ કૃપાપાત્ર અને સાધુતાએ સંપન્ન વડીલ સંત પૂ. યોગીસ્વરૂપ સ્વામી તા. ૮.૩.૨૧ને સોમવારે સાંજે ૪:૩૦ કલાકે હાર્ટ એટેક આવવાને કારણે ૭૨ વર્ષની વયે ધામમાં પધાર્યા હતા.
સેવા, સાદગી, સંયમ અને સમજણ જેવા અનેક ગુણોથી સંતો - ભક્તોનો રાજીપો મેળવનારા આદર્શ સંતની વિદાયથી BAPS સંસ્થાને બહુ મોટી ખોટ પડી છે. પૂ. મહંતસ્વામી મહારાજે પણ તેઓની સેવા - ભક્તિને બિરદાવીને આશીર્વાદ પાઠવ્યા છે.
યોગી સ્વરૂપ સ્વામીએ રાજકોટમાં શરૂઆતના સમયમાં વિષમ પરિસ્થિતિમાં પણ ૩૮ વર્ષ સુધી સેવા કરીને શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કરીને સત્સંગનો અનેરો વિકાસ કર્યો હતો. ત્યારબાદ છેલ્લા ૮ વર્ષથી તેઓ જૂનાગઢ મંદિરમાં મહંત તરીકે સેવા આપી રહ્યા હતા.