વડોદરાઃ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર અમદાવાદના સંતો દ્વારા વડોદરાના ગોત્રી વિસ્તારમાં યોજાયેલી સત્સંગ સભાને સંબોધતા સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમે ‘સ્ટ્રેસ મેનેજમેન્ટ’ જ્યારે શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ ‘સત્સંગ સુખદાયી’ વિષય પર પ્રેરણાદાયી પ્રવચન આપ્યા હતા. સાધુ પ્રેમવત્સલદાસજીએ કહ્યું હતું કે જીવનમાં ઘણા માણસો દુઃખી હોય છે, તેમને ટેન્શન રહેતું હોય છે. આ દુઃખને ભૂલવા, ટેન્શનથી મુક્ત થવા તેઓ રાત્રે ઉંઘની ગોળી લે છે અને છતાંય તેમને ઉંઘ આવતી નથી. જોકે સાચી વાત તો એ છે કે દુઃખથી મુક્ત થવા માટે ગોળી લેવાની નહીં, પણ ભગવાનનું ધ્યાન કરવાની જરૂર છે. આજના યુગમાં શાંતિ પ્રાપ્ત કરવા માટે મેડીસિન નહીં, મેડીટેશનની જરૂર છે. તેથી સહુ કોઇએ ભગવાનનું ધ્યાન કરવાની ટેવ પાડવી જોઈએ.
વડોદરા શહેરમાં ઇ.સ. 1810માં શ્રી સ્વામિનારાયણ ભગવાન પધાર્યા હતા તે પ્રસંગની યાદ તાજી કરાવતા સાધુ પ્રેમવત્સલદાસજીએ કહ્યું હતું કે, મહારાજા સયાજીરાવ ગાયકવાડ (બીજા)ને શ્રી હરિને વિષે અત્યંત ભાવ હતો. વાજતેગાજતે શ્રી સ્વામિનારાયણ ભગવાનને તેમણે હાથી અંબાડી ઉપર બેસાડીને શોભાયાત્રા કાઢી હતી. આ જ શહેરમાં સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામીએ સત્સંગના પ્રવર્તનમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તો સદ્. શ્રી મુક્તાનંદ સ્વામીએ વડોદરામાં વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કર્યો હતો. એ પ્રસંગ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સુવર્ણ અક્ષરે અંકિત થયો છે.


