નવનાત વડિલ મંડળ યોજીત સુમધુર ‘સ્મરણાંજલિ’ કાર્યક્રમ

- જ્યોત્સ્ના શાહ Wednesday 18th October 2023 04:37 EDT
 
 

શુક્રવાર તા.૧૩ ઓક્ટોબર’૨૩ના રોજ નવનાત વડિલ મંડળે શ્રાધ્ધ પર્વમાં સ્વજનોને અંજલિ આપવા ‘સ્મરણાંજલિ’ના સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
સૌ પ્રથમ ભોજન બાદ ભજન અને અંજલિના આ કાર્યક્રમમાં ૪૦૦ થી વધુ વડિલોની હાજરી હતી. ૪૩ જેટલા સ્વજનોની તસવીરોને વિશાળ મંચ પર સરસ રીતે ગોઠવી હતી. અને સ્ક્રીન ડિસપ્લે કરવામાં મીનાબહેન સંસભાઘાણી તથા નીતિનભાઇએ જહેમત ઉઠાવી હતી. હસ્મિતાબહેન દોશીએ સ્ટેજ ડેકોરેશનમાં એમનું હુન્નર દર્શાવ્યું. આમ એક-મેકના સાથથી કાર્યક્રમ દીપી ઉઠ્યો.
૨૦૧૬માં ૧૫૦ સભ્યોથી ‘સ્મરણાંજલિ’કાર્યક્રમ શરૂ થયો હતો. આજે એ આંક ૫૫૦ જેટલા સભ્યપદ સુધી પહોંચી ગયો છે.
આપણી વચ્ચેથી વિદાય થયેલ સ્વજનો સાથે આપણે લાગણીના સંબંધોથી જોડાયેલાં જ રહીએ છીએ. કાળના વ્હેણ વહી જાય પણ સ્નેહીજનોની યાદ ભૂલાતી નથી.
આ કાર્યક્રમનું સંચાલન નીતિનભાઇ સાવડીયાએ કર્યું હતું. પ્રમુખ શ્રી નલીનભાઇ ઉદાણીએ અને ઉપપ્રમુખ શ્રી ભૂપેન્દ્રભાઇ વસાએ સૌનું હાર્દિક સ્વાગત કર્યા બાદ મરીનાબહેન અને ગૃપે ખૂબ જ સરસ સંગીત સહ પ્રેરણાદાયી ભજનોમાં સૌને લીન કરી દીધાં હતાં. ઇઝરાયલ-પેલેસ્ટાઇન યુધ્ધ અને રશિયા-યુક્રેનના યુધ્ધમાં હજારંો નિર્દોષોના જાનના લેવાયેલ ભોગ માટે તે આત્માઓને અંજલિ આપતાં માનવતાને ઉજાગર કરતું ગીત ‘મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુંજ હૈયામાં વહ્યા કરો..’નો સમાવેશ કરી વિશ્વશાંતિની ભાવના ભાવવામાં આવી હતી.
એના કો-ઓર્ડીનેટર્સ નિતિનભાઇ, પૂર્ણિમાબહેન મેશ્વાણી અને કલ્પનાબહેન દોશી હતાં. સૌ સેવાભાવી સ્વયંસેવકોના અનુદાન માટે અભિનંદન.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter