BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી વિચરણ માટે સુરત જવાના હતા. પરંતુ, સ્નાયુના દુખાવાને કારણે તેમનું પ્રસ્થાન મુલતવી રાખવામાં આવ્યું હતું. તેથી તેઓ હાલ અટલાદરા ખાતે જ બિરાજમાન રહેશે. પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાનો લાભ અટલાદરા ઉપરાંત આસપાસના વિસ્તારોના હરિભક્તો નિયમિતપણે લઈ રહ્યા છે. પૂ. મહંત સ્વામીએ ધનુર્માસ દરમિયાન દરરોજ સંદેશ લખ્યા હતા. તેમાં ‘આ દેહથી શું ન થાય રે પ્રમુખ સ્વામીને કાજે’, ‘ભગવાન આપણને દુઃખ આપે તે શૂળીનું કાંટે મટાડે છે’, ‘પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રનો અભ્યાસ કરશો તો બ્રહ્મરૂપ થઈ જવાશે’ નો સમાવેશ થાય છે. તેઓ નિયમિતપણે સત્સંગ દીક્ષા અને શિક્ષાપત્રીનું વાંચન કરે છે અને યોગીવાણી વિશે પ્રવચન આપે છે.
પૂ. મહંત સ્વામીએ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા અને ક્વીન્સલેન્ડના BAPSશ્રી સ્વામીનારાયણ મંદિરોમાં પધરાવવામાં આવનારી મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધિ કરી હતી અને આરતી પણ ઉતારી હતી.
પૂ. મહંત સ્વામી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ સાથે નિયમિતપણે સત્સંગ કરે છે. વધુમાં, તેઓ દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજરી આપે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે ૮ વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે ૭ (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે ૮ વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.