BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ ગોંડલ ખાતે બિરાજમાન છે. ૧૪ નવેમ્બરે પૂ. મહંત સ્વામીની ઉપસ્થિતિમાં પ્રબોધિની એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઠાકોરજીને ફળો અને શાકભાજીનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. પૂ. મહંત સ્વામીની નિશ્રામાં અક્ષર દેરીમાં હટડીનું આયોજન કરાયું હતું. મંદિરમાં ભગવાનની મૂર્તિઓ સમક્ષ ફળો અને શાકભાજીનો અન્નકૂટ ધરાવાયો હતો. પૂ. મહંત સ્વામીએ હટડીની આરતી પણ ઉતારી હતી.
પૂ. મહંત સ્વામીએ મહેસાણા, માણાવદર, માળિયા હાટીના અને યુગાન્ડાના લીરા સહિત અન્ય સ્થળોએ નિર્માણાધીન BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સ્થાપિત કરવાની મૂર્તિઓની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરી હતી. આ ઉપરાંત, તેમણે ધુવારણ, કલમસર, વાલવોડ, ગોરવા ખાતે બંધાનારા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર માટે ઈષ્ટશિલા પૂજન કર્યું હતું.
પૂ. મહંત સ્વામીની સવારની નિત્યપૂજામાં ગોંડલ અને આસપાસના ગામોમાંથી સાધુ સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહે છે. પૂ. મહંત સ્વામી દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજરી આપે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે ૮ વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે ૭ (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે ૮ વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.