પૂ. મહંત સ્વામીની નિશ્રામાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

Tuesday 03rd November 2020 13:08 EST
 
 

૩૦ અને ૩૧ ઓક્ટોબરે યુકે અને દુનિયાભરમાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની પવિત્ર મેટાલીક મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ મહોત્સવ યોજાયો હતો. ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ (ભગવાન સ્વામીનારાયણની નાની મૂર્તિ જેની પૂજા અગાઉ ગુણાતીતાનંદ સ્વામી અને તે પછી તેમના આધ્યાત્મિક વારસદારો કરતા હતા) સાથે જોડવાના આ ઐતિહાસિક પ્રસંગનો શ્રેણીબદ્ધ ઓનલાઈન વેબકાસ્ટના માધ્યમથી દેશવિદેશના હજારો હરિભક્તો અને સંતોએ લાભ લીધો હતો.

૩૦મીએ સાંજે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડનના સંતોએ ખાસ કિર્તનો રજૂ કરીને ગુણાતીત પરંપરાને સન્માન આપતી ખાસ સંગીત અંજલિ દ્વારા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. પૂ. પ્રમુખ સ્વામીના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે યોજાનારી ૧૦૦ સંગીત અંજલિની શ્રેણીમાં આ ૫૫મી સંગીત અંજલિ હતી.

૩૧ ઓક્ટોબરે શરદ પૂર્ણિમાના પાવન દિવસે અને ગુણાતીતાનંદ સ્વામીના જન્મદિને નેનપૂરથી પૂ. મહંત સ્વામીની નિશ્રામાં મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત સવારે ૩ વાગે (GMT) સ્પેશિયલ ઓનલાઈન મહાપૂજા સાથે થઈ હતી. નાના બાળકો સાથેના પરિવારો તેમાં ભાગ લઈ શકે તે માટે ફરી ૮ વાગે (GMT) મહાપૂજા યોજાઈ હતી. પૂ. મહંત સ્વામીએ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની પવિત્ર મૂર્તિની પ્રતિષ્ઠા વિધિ કરી હતી. દુનિયાભરમાંથી હજારો હરિભક્તો આ વિધિમાં જોડાયા હતા અને પોતાના ઘરેથી આરતી ઉતારી હતી.

બપોરે ભારતથી લાઈવ સભા યોજાઈ હતી. કાર્યક્રમમાં સંખ્યાબંધ વીડિયો પ્રેઝન્ટેશન રજૂ કરાયા હતા. વરિષ્ઠ સંતોએ ગુણાતીતાનંદ સ્વામીના દિવ્ય જીવન અને ઉમદા કાર્યો વિશે પ્રવચનો આપ્યા હતા. પૂ. મહંત સ્વામીએ પણ સભાને સંબોધી હતી અને વેદિક અક્ષર પુરુષોત્તમ ફિલસુફીના આધ્યાત્મિક મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter