BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૨જી જૂનથી ૭ મી જૂન દરમિયાન બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના ૧૨૯મા પ્રાકટ્યદિન ઉપક્રમે યોગી જયંતિ પર્વની વર્ચ્યુઅલ માધ્યમથી ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી. તે નિમિત્તે યોજાતી સભાઓમાં પૂ. મહંત સ્વામી તથા અન્ય વરિષ્ઠ સંતોએ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ સાથેની તેમની સ્મૃતિઓ તાજી કરી હતી. પૂ. મહંત સ્વામીએ ન્યૂઝીલેન્ડના વેલીંગ્ટનમાં નિર્માણ પામનારા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરની મહાપૂજા વિધિ કરી હતી અને ઈષ્ટશિલાનું પૂજન કર્યું હતું. તે ઉપરાંત પૂર્વ આફ્રિકાના મલાવીના લીંબે અને લીલોંગ્વેમાં નિર્માણ પામનારા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરની ઈષ્ટશિલાનું પૂજન કર્યું હતું. પૂ. મહંત સ્વામી નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. તેઓ નેનપૂરમાં રહીને દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે ૮ વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે ૭ (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે ૮ વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.