બુસી-સેંટ-જ્યોર્જેસ (પેરિસ)ઃ ફ્રાન્સની રાજધાની પેરિસના હૃદય એવા એફિલ ટાવરની પાસે પાંચમી સપ્ટેમ્બરે ભારતીય સંસ્કૃતિ, સંગીત અને ભક્તિની ઉજવણીથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું, જ્યારે હજારો ભક્તો અને મુલાકાતીઓ ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ના મુખ્ય આકર્ષણોમાંની એક ઐતિહાસિક નગરયાત્રામાં જોડાયા હતા.
વિશ્વવિખ્યાત એફિલ ટાવર પાસેથી એકોલ મિલિટેરથી ઓરા ઇન્વાલિડ્સ સુધી આ નગરયાત્રા યોજાઈ હતી. 42 દેશોનું પ્રતિનિધિત્વ કરતા આશરે 6,000 સહભાગીઓ અને 1,500થી વધુ કલાકારો નગરયાત્રામાં જોડાયા હતા, જેમાં સંગીત, કળા અને ભક્તિસભર પ્રસ્તુતિઓ કરાઇ હતી. 15 મુખ્ય વિભાગોમાં વહેંચાયેલી આ નગરયાત્રામાં 14 કલાત્મક રીતે તૈયાર કરાયેલા રથો અને અન્ય વિશિષ્ટ પ્રસ્તુતિઓ સાથે સંગીતકારો, નૃત્યકારો અને રંગબેરંગી પરંપરાગત વેશભૂષામાં સજ્જ સહભાગીઓ જોડાયા હતા. 1,600થી વધુ વેશભૂષા અને 1,000થી વધુ પ્રોપ્સ દ્વારા આ ઉજવણીને જીવંત અને ભવ્ય સ્વરૂપ અપાયુ હતું. સુંદર રીતે શણગારેલી મૂર્તિઓ – હિન્દુ દેવી-દેવતાઓનાં દિવ્ય સ્વરૂપો – ને માર્ગો પરથી લઈ જવાઇ હતી. સૌહાર્દ, શાંતિ, સેવા અને મૂલ્યો જેવા સાર્વત્રિક મૂલ્યોથી પ્રેરિત રથોએ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના શાશ્વત સિદ્ધાંતોને જીવંત કર્યા હતા. મોર, હાથી, હિમાલય અને પરંપરાગત પુષ્પાકૃતિઓ સહિત ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વૈભવની કલાત્મક ઝાંખીઓ પણ રજૂ કરાઇ હતી.
ભારત–ફ્રાન્સ ઇનોવેશન વર્ષ 2026 દરમિયાન યોજાયેલી આ નગરયાત્રાએ બંને દેશો વચ્ચેની ચિરંજીવી મિત્રતાની પણ ઉજવણી કરી હતી અને ફ્રાન્સના હિન્દુઓ માટે એક ઐતિહાસિક સીમાચિહ્ન બની હતી. આ નગરયાત્રાએ ફ્રાન્સમાં બીએપીએસની પાંચ દાયકાથી વધુની ઉપસ્થિતિ અને સેવાની યાત્રાને ઉજાગર કરી હતી. ચિરંજીવી સ્મૃતિઓ સાથે આ નગરયાત્રા પૂર્ણ થઈ હતી. આ યાત્રાએ ફ્રાન્સમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના એક નવા અધ્યાયની ઉજવણી કરી હતી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શન કરીને નગરયાત્રામાં ઉપસ્થિત હજારો ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો.


