લંડનઃ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની વાર્ષિક ઉજવણી નિમિત્તે મહેમાનો અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્તિત રહેતા ભક્તિવેદાંત મેનોર જીવંત બની ગયું હતું. આ બે દિવસના ઈવેન્ટની ભવ્ય સફળતાના કેન્દ્રમાં સેંકડો સ્થાનિક સ્વયંસેવકોની અદ્ભૂત ટીમની કઠોર મહેનત હતી.
પાર્કિંગ માટે માર્ગદર્શન, ઈવેન્ટના સ્થળોએ ગોઠવણી, પારિવારિક રમતોનું આયોજન તેમજ પ્રત્યેક મહેમાન માટે નિઃશુલ્ક ભોજન-પ્રસાદમની વ્યવસ્થાની કામગીરીમાં તમામ વયના વોલન્ટીઅર્સે વિવિધ સેંકડો ભૂમિકાઓ વહેંચી લીધી હતી. વીકએન્ડ ઉત્સવ અગાઉ મહિનાઓ સુધી મેનોરની દેવમૂર્તિઓ માટે નવા પોશાકોની હાથસિલાઈની કામગીરી શિરમોર સમી બની રહી હતી.
મહેમાનો અને ભક્તોએ બંને દિવસોની આનંદી પાર્શ્વભૂમિકાને સર્જતા કળા પ્રદર્શનો, જીવંત નાટક તેમજ ભગવાન શ્રીકૃષ્ણના જીવનની કથાઓ કહેતાં પરંપરાગત અને સમકાલીન નૃત્યોની પ્રસ્તુતિ, ભક્તિસંગીત અને મંત્રોચ્ચાર કીર્તન સહિતના સાંસ્કૃતિક ઈવેન્ટ્સને ઉત્સાહ સાથે માણ્યા હતા. શ્રીકૃષ્ણ જન્મોત્સવના બંને દિવસો કડક અને ટિકિટ્સ સાથેના પ્રવેશની સિસ્ટમ હેઠળ કાર્યરત રહ્યા હતા જેના થકી મુલાકાતીઓની ક્ષમતા તેમજ મહેમાનો અને વ્યાપક કોમ્યુનિટીની સુવિધાનું સુચારુ સંચાલન શક્ય બન્યું હતું.
ભક્તિવેદાંત મેનોરના ટેમ્પલ પ્રેસિડેન્ટ વિશાખા દાસીએ જણાવ્યું હતું કે, ‘ભક્તિવેદાંત મેનોર ખાતે 2026ની જન્માષ્ટમી અસામાન્યપણે સુનિયોજિત રહી હતી. મુખ્ય રંગમંચ પર ઈન્દ્રયમુના સ્વામી દ્વારા રામાયણની પ્રસ્તુતિ, મારા બંધુ, મારા રક્ષક (ધૃતરાષ્ટ્ર અને વિદુર વિશે), યુવાનો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની છાયાને દર્શાવતું નાટક, તેમજ અન્ય પરફોર્મન્સીસની રજૂઆતો ઉત્કૃષ્ટ અને ભારે પ્રભાવિત કરનારી રહી હતી. ભાગ લેનારા તમામ લોકો અને ખાસ કરીને અમારા બહાદૂર વોલન્ટીઅર્સ પ્રત્યે અમારા આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ.’


