ભારતનું પ્રતિનિધિ મંડળ અબુ ધાબીના બીએપીએસ હિન્દુ મંદિરની મુલાકાતે

Wednesday 28th May 2025 05:45 EDT
 
 

‘ઓપરેશન સિંદૂર’ બાદ વિશ્વ સમક્ષ પાકિસ્તાનનો આતંકી ચહેરો ખુલ્લો પાડવા ભારતના સંસદસભ્યોનું સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ વિશ્વના વિવિધ દેશોની મુલાકાત લઇ રહ્યું છે. શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેની અધ્યક્ષતામાં યુએઇ પહોંચેલા ભારતીય પ્રતિનિધિ મંડળે 23 મેના રોજ અબુ ધાબીમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ બીએપીએસ હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિ મંડળમાં ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજ, મનન કુમાર મિશ્રા તથા એસ.એસ. આહલુવાલિયા, બીજુ જનતા દળના સાંસદ સસ્મિત પાત્રા, આઈયુએમએલના સાંસદ ઇ.ટી. મોહમ્મદ બશીર, અને ભારતના જાપાન ખાતેના રાજદૂત સુજન ચિનોય સામેલ હતા.
મંદિરની અપ્રતિમ સુંદરતા, પવિત્રતા અને આધ્યાત્મિકતાથી સમગ્ર પ્રતિનિધિ મંડળ ખૂબ પ્રભાવિત થયું હતું. ખાસ કરીને મંદિરનો વૈશ્વિક સૌહાર્દનો સંદેશ સૌને સ્પર્શી ગયો હતો.
પ્રતિનિધિ મંડળનું મંદિર ખાતે ભારતના યુએઇ ખાતેના રાજદૂત સંજય સુધીર અને મંદિરના ચેરમેન અશોક કોટેચા દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. શાંતિ, એકતા અને સહિયારા મૂલ્યોના શાશ્વત સ્થળ એવા આ મંદિરના સર્જન માટે પ્રતિનિધિ મંડળે બીએપીએસ સંસ્થાના પ્રયાસો તેમજ ભારત અને યુએઈના નેતૃત્વને બિરદાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter