અમદાવાદ: શહેરના શ્રી સ્વામિનારાયણ મંદિર-મણિનગરમાં બિરાજમાન સ્વામિનારાયણ ભગવાન - ઘનશ્યામ મહારાજના 79મા વાર્ષિક પાટોત્સવની 22 ફેબ્રુઆરીએ રંગેચંગે ઉજવણી કરાઈ હતી. તેની સાથે સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજનો 44મો પીઠાર્પણ ઉત્સવ પણ ઊજવાયો હતો. આ પ્રસંગે મણિનગર ગાદી સંસ્થાન મંદિર દ્વારા 1100 કિલો પંચામૃત અર્પણ કરાયું હતું. આ પાટોત્સવમાં શુદ્ધોદક, દૂધ, દહીં, શર્કરા, ઘી, મધ, અત્તર વગેરેથી ષોડષોપચાર વિધિપૂર્વક અભિષેક કરાયો હતો. પંચામૃતમાં 150 કિલો દહીં, 100 કિલો મધ, 1 કિલો કેસર, 100 કિલો સાકર, 50થી વધુ પ્રકારના અત્તરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
108 વાનગીનો અન્નકૂટ
આચાર્યના આશીર્વાદ બાદ ભગવાનને 108 વાનગીઓનો અન્નકૂટ ધરાવીને મહાઆરતી ઉતારવામાં આવી હતી. મંદિર ખાતે ધરાવેલો અન્નકૂટ ભક્તો દ્વારા આપવામાં આવેલી વાનગીઓમાંથી તૈયાર કરવામાં આવ્યો હતો. તમામ અન્નકૂટનું જરૂરિયાતમંદ બાળકો તેમ જ ગરીબ પરિવારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં હરિભક્તોએ અન્નકૂટ દર્શન કર્યા હતા.